મહેસાણા: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાના વિરોધમાંકોંગ્રેસ દ્વારા દેશભરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે મહેસાણામાં બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે પ્રયાસ હાથ ધર્યા હતા. કોંગ્રેસના કાર્યકરો બજારો બંધ કરાવવા જતા ચકમક થઈ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અને PI વચ્ચે બોલચાલી થઈ હતી. બળજબરીથી બંધ કરાવવા મામલે બોલાચાલી થઈ હતી.
ત્યારે આ તરફ અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બાયડની આર્ટસ કોલેજને કોંગ્રેસના કાર્યકરોએ બંધ કરાવી હતી અને જિલ્લાના ST બસના 90 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને બાયડ એસટી ડેપોમાં બસોનો ખડકલો જોવા મળ્યો હતો અને બંધને પગલે હજારો મુસાફરો બસ સ્ટેન્ડમાંજ અટવાયા હતા.
તો આ તરફ અરવલ્લીના અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે પર ટાયર સળગાવવામાં આવ્યા. શામળાજી પાસે કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્ય હતા. જેના કારણે બન્ને બાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનનોની લાંબી કતાર લાગતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાઈ-વે ખુલ્લો કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 16 દિવસથી એકધારા વધી રહ્યા છે. ત્યારે સતત 17માં દિવસે આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતા ભાવવધારાને કારણે સામાન્ય માનવીનું બજેટ ખોરવાઇ જાય છે. જેના ભાગરૂપે કોંગ્રેસ સહિત 21 પક્ષો દ્વારા આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે.
આપને જણાવી દઇએ કે ઇંધણના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડયો છે. વસુંધરા રાજેએ 4 ટકા વેટ ઘટાડતાં ઈંધણની કિંમતોમાં 2 રૂપિયાથી 2.50 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.
મહત્વનું છે કે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણીને ધ્યાને રાખીને રાજે સરકારે જનતાને આ રાહત આપી છે. આ મામલે હવે જોવું જ રહ્યું કે રૂપાણી સરકાર કોઇ પ્રજાલક્ષી નિર્ણય કરે છે કે નહીં.