બેંકના ગ્રાહકો માટે ખુશ ખબર છે, તેઓ હવે ટૂંક સમયમાં જ વિશેષ બેંકિંગ સુવિધા મેળવી શકે છે. આ અંતર્ગત એક બેંકના ગ્રાહકો બીજી બેંકની બ્રાંચ અથવા ATMમાં કેશ જમા કરાવી શકશે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ આ સુવિધા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે દેશની તમામ મોટી બેંકોને આ અંગે દરખાસ્તો મોકલવામાં આવી રહી છે. NPCIનું માનવું છે કે, આ સિસ્ટમના અમલ બાદ રોકડ કામગીરીનો ખર્ચ ઘટશે, જેનો લાભ બેન્કિંગ સિસ્ટમને મળી શકે છે.
NPCનું કહેવું છે કે, તેની નેશનલ ફાઇનાન્શિલ સ્વિચ દ્વારા આવું થઈ શકે છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને પણ આ જ રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ નવી ટેક્નિકને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેક્નોલોજી(IDBRT) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
બેંક અને ગ્રાહક બંનેને ફાયદો થશે
ATMમાં કેશ ડિપોઝિટ કરાવવાથી બેંક તેમજ ગ્રાહકોને ફાયદો થશે કારણ કે, જે પૈસા ગ્રાહક ATM મશીનમાં જમા કરશે તેનો ઉપયોગ ઉપાડ માટે પણ કરી શકાશે. એવામાં ATMમાં વારંવાર કેશ ભરવી નહીં પડે. પ્રથમ તબક્કામાં 14 મોટી બેંકોના 30000 થી વધુ ATM અપગ્રેડ કરવામાં આવશે. આ માટે ATMનું હાર્ડવેર પણ નહીં બદલવું પડે.
અત્યારે ઘણી બેંકોમાં આ સુવિધા મળી રહી છે
અત્યારે યુનિયન બેંક, કેનરા બેંક, આંધ્ર બેંક અને સાઉથ ઇન્ડિયન બેંકમાં આ પ્રકારની સુવિધા કાર્યરત છે. જો કે, ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લેવા માટે ફી પણ ચૂકવવી પડશે. 10000 રૂપિયા સુધીની ડિપોઝિટ પર 25 રૂપિયા અને 10000 રૂપિયાથી વધુની ડિપોઝિટ પર 50 રૂપિયા ચૂકવવા પડશે.