જો તમે બોલિવૂડના 'મુન્નાભાઈ' એટલે કે સંજય દત્તના મોટા ફેન છો અને તેની કેન્સરની બીમારી અંગે તમને ચિંતા થાય છે તો આ સમાચાર તમારા માટે છે. સંજય દત્ત જલ્દી આ બીમારીને મ્હાત આપી દેશે. તેના પરિવારના નજીકના વ્યક્તિએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેનો ઈલાજ સારી રીતે થઈ રહ્યો છે અને તે જલ્દી રિકવર કરી રહ્યો છે.
સંજય દત્તની હેલ્થને લઈને આવ્યા મોટા સમાચાર
તેના નજીકના વ્યક્તિએ જણાવી આ વાત
સંજય દત્ત જલ્દી રિકવર થઈ રહ્યો છે
સંજય દત્ત 8 ઓગસ્ટે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના કેટલાંક ટેસ્ટ થયા હતા, અને 3 ત્રણ દિવસ બાદ 11 ઓગસ્ટે આ વાત સામે આવી કે તેને ફેફસાનું કેન્સર છે.
સંજય દત્તના પરિવારના એક નજીકના વ્યક્તિએ કહ્યું કે એવા સમાચાર હતા કે સંજયના જીવનના હવે 6 મહિના જ બચ્યા છે. પરંતુ એવી કોઈ જ વાત નહોતી. તેણે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે તે જલ્દી રિકવર કરી રહ્યો છે અને તેના પર ઈલાજની ઝડપથી અસર થઈ રહી છે.
તેણે વધુમાં કહ્યું કે, તે તપાસ માટે ગયો હતો સંજય દત્તની રિપોર્ટ્સ સારી આવી છે. ભગવાનની કૃપાથી અને આપ સૌની દુઆઓથી ઇલાજની સારી અસર થઇ રહી છે. તમને જણાવી દઈએ કે, સંજય દત્તનો ઇલાજ મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. હાલમાં જ તે તેના પરિવાર અને બાળકોને મળવા દુબઈ ગયો હતો. જ્યાં તેણે 10 દિવસનો સમય વિતાવ્યો હતો, જે બાદ ગત મહિને જ સંજૂ મુંબઈ પરત આવી ગયો છે.
તમને જણાવી દઇએ કે, ગત દિવસોમાં સંજય દત્તનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તેની બીમારી અંગે વાત કરતો જોવા મળ્યો છે. આ વીડિયો સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકિમે તેના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં સંજય દત્ત તેના માથે આવેલું નિશાન બતાવતા કહ્યું કે, આ મારા જીવનનું હાલમાં જ મળેલું નિશાન છે, પણ હું તેને હરાવી દઈશ. હું કેન્સરથી જલ્દી જ મુક્ત થઈ જઈશ.