રાજ્યભરમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા મનમૂકીને વરસી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના લોકો માટે ખુશીના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી એક જ રાતમાં સૌરાષ્ટ્રના 26 ડેમ છલકાઇ ગયા છે. જેના કારણે જળસંકટ દૂર થઇ ગયું છે.
રાજકોટમાં 8 ઇંચ વરસાદથી આજી ડેમ ઓવરફ્લો થયો છે. આજી ડેમ ઓવરફ્લો થતા મેયર અને સીએમના પત્નીએ નીરના વધામણા કર્યા હતા. તો મોરબી જિલ્લામાં સારા વરસાદથી મચ્છુ-1, મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમ છલકાઇ ગયા છે.
આ ઉપરાંત ખંભાળિયા-જામનગરના તમામ જળાશયો છલકાઇ ગયા છે. ભાવનગરના પાલિતાણામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરના મોટી બાણુંગારમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ડેમોમાં નવા નીર આવ્યા છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ છેલ્લા કેટલાક દિવસથી ઓવફ્લો છે.