ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેવડિયા ખાતે આજથી યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર. બ્રિટનની કંપની કર્મચારીઓની કરશે છટણી. કર્ણાટકમાં મુખ્યમંત્રી પદનું કોકડું ઉકેલાઈ ગયુ. સુપ્રિમ કોર્ટે બંગાળમાં ધ કેરલા સ્ટોરી પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો..
પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. ત્યારે સપ્ટેમ્બર સુધીમાં સરકાર ભરતીનુ આયોજન કરશે.
સાવરકુંડલાનાં શેલાણાં વંડા રોડ પરથી પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયા પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક સામેથી આવી રહેલ જેસીબી સાથે તેઓની કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેથી પૂર્વ ધારાસભ્યનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગેની જાણ રાજકીય કાર્યકરોને થતા રાજકીય કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. AMCના અંદાજીત 500 કરોડથી પણ વધુના કાર્યો અમિત શાહના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે. ઉપરાંત અમદાવાદ ખાતે AMC અને ઔડા અંતર્ગત આવતા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવશે. વધુમાં ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા વિસ્તારની યોજનાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રાજ્ય સરકારની આજથી ત્રણ દિવસની ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ તથા મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના આઈ.એ.એસ. અધિકારીઓ હાજર રહેશે. આ ચિંતન શિબિરમાં અધિકારીઓ અને મંત્રીઓ મુખ્ય પાંચ મુદ્દાઓ પર મંથન કરશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં ST બસ સ્ટેશનના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ લવ જેહાદ કરનારાઓને ખુલ્લી ચેતવણી આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જણાવ્યું કે, 'જેમના મનમાં નાની-મોટી માનવતા બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે, દુનિયાના કોઈ ખુણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. પરંતુ પ્રેમના નામને બદનામ કરનારા કાન ખોલીને સાંભળી લે. કોઈ સલીમ..સુરેશના નામે પ્રેમ કરીને મારી ભોળીભાળી દીકરીને ફસાવશે, તો એ દીકરીના ભાઈ તરીકે હું અહીંયા આવ્યો છું. જો કોઇ સલીમ સુરેશ બનીની ભોળી દીકરીઓને ફાસાવશે તો છોડવામાં આવશે નહીં.'
ગુજરાત સરકારના પેપરલેસ ઇ-ગવર્નન્સ મોડલ બાદ હવે ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાને સપ્ટેમ્બર સુધીમાં પેપરલેસ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર પહેલા ગુજરાત વિધાનસભા પેપરલેસ બનશે.
રાજ્યસરકારનાં નાણામંત્રી કનુ દેસાઈએ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થવા ઉપર છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં આશરે 5 લાખ કર્મચારીઓને 8% મોંઘવારી ભથ્થુ ફાળવવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ગતવર્ષની જેમ જ આ મોંઘવારી ભથ્થું 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.
અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 29મી અને 30મી મે ના રોજ દિવ્ય દરબાર યોજાશે. ભારે વિરોધ વચ્ચે પણ દિવ્ય દરબારની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે AMC દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના જાહેરાતના બોર્ડ લગાવવા સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામા આવી છે. વધુમાં દિવ્ય દરબારના સ્થળે જનરલ સુવિધાઓ પણ AMC પુરી પાડશે. તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનું નિવેદન સામે આવ્યું છે.
લોકસભા 2024 ને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ પક્ષનાં વધુ એક પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે સંખેડા વિધાનસભા બેઠકનાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરીયો ધારણ કર્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ભીલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. તેઓની સાથે સાથે જીલ્લા તેમજ તાલુકા પંચાયતનાં સભ્યોએ પણ કેસરિયો ધારણ કર્યો હતો.
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદનું કોકડું ઉકેલાઈ ગયું છે. ગઈકાલે મોડી રાત સુધી ચાલેલી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠકમાં સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે અને DK શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરાયું હતું. જોકે આ નિર્ણય પહેલા 4 દિવસથી સતત બેઠકોનો દોર યથાવત હતો. વિગતો મુજબ ગઈકાલે તો છેલ્લે ખુદ સોનિયા ગાંધીએ વિડીયોકોલ અને ફોન કરી ડીકે શિવકુમાર જોડે વાત કર્યા બાદ આ કોકડું ઉકેલાયું હતું. આ તરફ હવે ગતરોજ સાંજે કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક બોલાવાઇ છે. ચાલો જાણીએ કે ગઈકાલે મધ્યરાત્રિ સુધી એવું તે શું થયું કે, અત્યાર સુધી "માત્ર CM નહીં તો કઈં જ નહિ" ની ફોર્મ્યુલા પર અડગ શિવકુમાર નાયબ મુખ્યમંત્રી પદ માટે માની ગયા.
મંદીના વાગતા ભણકારાને લઇને ડરામણું ચિત્ર ઊભું થયું છે. આવી સ્થિતિ વચ્ચે છાશવારે સામેં આવતા છટણીના સમાચારને લઈને નોકરીયાત વર્ગની ચિંતામાં વધારો થયો છે. ત્યારે છટણી મામલે સૌથી મોટા અને ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બ્રિટનની સૌથી મોટા ગજાની ગણાતી બ્રોડબેન્ડ અને મોબાઈલ પ્રોવાઇડર બિટી ગ્રુપે એકસામટા 55000 કર્મચારીઓની છટણી અંગે સમર્થન આપ્યું છે. દાયકાના અંત સુધીમાં એટલે કે 2030 સુધીમાં કોન્ટ્રાક્ટર સહિત કુલ 55, 000 કર્મચારીઓની કંપની છુટા કરી રહી છે. જેને અત્યાર સુધીની સૌથી મોટી ચટણી ગણવામાં આવી રહી છે. બીજી તરફ કંપની નેશનલ ફાઇબર નેટવર્ક બનાવવા માટે ટ્રાન્સફોર્મેશન પર કામ કરી રહી હોવાનું કંપનીના બોસ ફીલીપ જેનસેન દ્વારા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે (18 મે) 'ધ કેરલા સ્ટોરી' પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ફિલ્મથી લોકોને ઉશ્કેરવાનો ભય છે.
રિજીજુ કાયદા મંત્રીના પદ પરથી હટાવી દેવાયા બાદ પાંચ જ કલાકમાં મોદી કેબિનેટમાં વધુ એક મોટો બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં રિજીજુ બાદ તેમના ડેપ્યુટીનું પણ મંત્રાલય બદલવામાં આવ્યું છે અને કાયદા રાજ્યમંત્રી એસ.પી. સિંહ બધેલનું પણ મંત્રાલય બદલાયું છે. કાયદા રાજ્ય મંત્રી એસ પી સિંહ બધેલને આરોગ્ય મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ તરફ હવે સાક્ષી મલિકે એક મોટું નિવેદન આપ્યું છે. સાક્ષી મલિકે કહ્યું કે, બૃજભૂષણ જેવા મજબૂત વ્યક્તિની સામે લડવા ઘણી હિંમતની જરૂર પડે છે. આ સાથે તેમણે કહ્યું કે, ઓવરસાઈડ કમિટી પર તેમણે બિલકુલ વિશ્વાસ નથી. આ દરમિયાન તેમણે તપાસ સામે પજવણીના ફોટોગ્રાફ અને વિડીયો પુરાવા માંગવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેલિફોર્નિયાની એક યુએસ કોર્ટે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના સંબંધમાં વોન્ટેડ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. વાત જાણે એમ છે કે, 10 જૂન 2020ના રોજ ભારતે પ્રત્યાર્પણના દૃષ્ટિકોણથી 62 વર્ષીય રાણાની કામચલાઉ ધરપકડની માંગ કરતી ફરિયાદ નોંધાવી હતી. આ તરફ હવે બિડેન વહીવટીતંત્રે રાણાના ભારતમાં પ્રત્યાર્પણને સમર્થન આપ્યું અને મંજૂરી આપી.
બસ હજુ ચાર વર્ષ. એટલે કે 2027 પહેલા સમગ્ર વિશ્વનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે. આ ખુલાસો વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા કરવામાં આવ્યો છે. આનો અર્થ એ નથી કે વિશ્વનું તાપમાન 2015ના પેરિસ કરારના સ્તરથી ઉપર જશે. પરંતુ ગરમી વધશે. આ ખાતરી છે. જેથી લોકોની હાલત કફોડી થવા જઈ રહી છે અને આખી દુનિયા બળી જશે. તો બીજી તરફ હવામાનનો સમય બદલાશે અને અનેક આફતો આવશે. WMOએ 30 વર્ષના સરેરાશ વૈશ્વિક તાપમાનના આધારે આ ખુલાસો કર્યો છે. સંગઠને કહ્યું કે 2027 સુધીમાં વિશ્વનું તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસ વધે તેવી 66 ટકા શક્યતા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2023ના પ્લેઓફમાં પહોંચવાની આશા અકબંધ રાખી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની કરો અથવા મરો મેચમાં વિરાટ કોહલીની રેકોર્ડ છઠ્ઠી સદી અને કેપ્ટન ફાફ ડુપ્લેસીની શ્રેષ્ઠ અડધી સદી અને રેકોર્ડ ભાગીદારીના આધારે બેંગ્લોરને 8 વિકેટે જીત અપાવી હતી. આ સિઝનમાં બેંગ્લોરની આ સાતમી જીત છે અને 14 પોઈન્ટ સાથે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
For the first time in the history of #TATAIPL, we have had 2 centurions from either side in the same match.