થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા છૂટા કરવામાં આવેલા 40 VCEને પરત લેવાનો આદેશ વિકાસ કમિશનરની કચેરી દ્વારા કરાયો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ DDOને પત્ર લખી સૂચના અપાઇ છે.
છુટા કરાયેલા VCE કર્મચારીઓને પરત લેવાનો આદેશ
વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ DDOને પત્ર લખી અપાઇ સૂચના
અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓએ 40 VCEને કર્યા હતા છુટા
ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતા વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરોને પરત લેવાનો આદેશ કરાયો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જો કોઇ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 VCEને છૂટા કરાયા હતા.
DDO દ્વારા છુટા કરાયાની વિકાસ કમિશનરને કરાઈ હતી ફરીયાદ
જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 જેટલા વીસીઈ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ દ્વારા વિકાસ કમિશનરની કચેરીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પડતર માંગોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપતા જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર ઘણા જુદાજુદા જિલ્લાના 40 વી.સી.ઈના આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા છે, ઘણા વી.સી.ઈને છુટા કરવાના હુકમ કરવામાં આવ્યા છે. લડતની કિન્નાખોરી રાખીને જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા વી.સી.ઈને અન્યાય કરવામાં આવેલ છે.
VCE કર્મચારીઓને પરત લેવાનો આદેશ
જેની નોંધ લઈને વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ DDOને પત્ર લખી તમામ છુટા કરેલા વી.સી.ઈને પરત લેવાનો આદેશ કરાયો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, જુદા-જુદા જિલ્લાના 40 વી.સી.ઈને પરત લેવામાં આવે અને આઈ.ડી બ્લોક છે, જેને તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવે. વી.સી.ઈએ ઘણા વર્ષો સુધી કરેલ કામગીરી અને આપોલ વર્ષો સુધીના સમયના બલિદાનને ધ્યાને લઈને તમામ વી.સી.ઈને ન્યાય આપશો, સાથે આ તમામ વી.સી.ઈ નિષ્ઠાથી કામગીરી કરતા હતા, તેવી રીતે રેગ્યુલર કરશે અને ફરથી પોતાની ફરજ નિષ્ઠા સાથે નિભાવશે.
VCEને છુટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, જો વી.સી.ઈની કામગીરી સંતોષકારક જણાતી ન હોય અને તેઓને છુટા કરવાના થતા હોય તો સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને ગ્રામસભામાં મંજૂરી મેળવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીની બહાલી મેળવી છૂટા કરવામાં આવે.
VCE કર્મી શું કામ કરે છે?
રાજ્યમાં આશરે અંદાજે 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે.