હાલ નર્મદા ડેમની સપાટી 132.31 મીટરને પાર કરી ગઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાની મુલાકાત લીધી હતી. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, નર્મદામાં પાણી વધવા એ કુદરતની ગુજરાત પર મહેર છે. SOU સાથેના સંલગ્ન પ્રોજેકટથી પ્રવાસનની નવી તકો ઉભી થશે.
ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી. સરદાર સરોવરની જળ સપાટી 132.31 મીટરને પાર કરી ગઈ. હાલ ડેમમાં પાણીની આવક 1 લાખ 28 હજાર 276 ક્યુસેક પર પહોંચી.
આથી, ડેમમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે ડેમના 7 ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. તો 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ ચાલુ. જેને લઈને 24 કલાકમાં 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન પણ ચાલુ કરાયા.
1 મહિનામાં નર્મદા ડેમના 139 મીટર ભરવામાં આવશે
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. સરદાર સરોવરની જળ સપાટી 132.31 મીટરને પાર કરી ગઈ છે. ત્યારે કેવડિયા ખાતે ગઇકાલે કાર્યક્રમમાં CM રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિ જરૂરી નથી. તેમજ ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટર સુધી પાણી ભરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, અગાઉ ડેમમાં 131 મીટરની સપાટી સુધી પાણી ભરવા નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ મંજૂરી આપી હતી. હાલ નર્મદા બંધનું કામ પૂર્ણ થઈ ગયું છે. આથી 131થી 139 મીટર સુધી પહોંચવા માટે તબક્કાવાર ડેમ ભરવાનો છે. 139 મીટર સુધીનું બાંધકામ નવું હોવાના કારણે તબક્કાવાર ડેમ ભરવાનો છે. આગળના 1 મહિનામાં નર્મદા ડેમને 139 મીટર સુધી ભરવાનું આયોજન છે. જો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હજુ વરસાદ પડે તો 139 મીટર સુધી ડેમ ભરાશે.