કેન્દ્રની મોદી સરકારે ઘરેલુ ગેસના ગ્રાહકોને એક મોટી રાહત આપી છે. મોદી સરકારે ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી) સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી લગભગ બમણી કરી દીધી છે. તેનાથી ગ્રાહકો પર ગઇ કાલે જ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવેલા વધારાની ઓછી અસર પડશે. આ દરમિયાન સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારવા અંગેનાં કારણો પણ દર્શાવ્યાં છે.
ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા બાદ હવે સબસિડી વધારાતાં ગ્રાહકો પર માત્ર રૂ. સાતનો બોજ પડશે
દેશભરમાં સીલીન્ડર પર મળતી સબસીડીમાં વધારો
ઘરેલુ એલપીજી ગ્રાહકોને એક વર્ષમાં ૧૨ સિલિન્ડર પર સબસિડી મળે છે
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે સરકારે ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી લગભગ બમણી કરી દીધી છે. આ િનવેદનમાં જણાવ્યું છે કે પાટનગર દિલ્હીમાં અત્યાર સુધી પ્રતિ સિલિન્ડર અત્યાર સુધી રૂ. ૧૫૩.૮૬ની સબસિડી મળતી હતી, જે વધારીને હવે રૂ.૨૯૧.૪૮ કરવામાં આવી છે. આ જ રીતે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ ફાળવાયેલા ગેસ કનેક્શન પર અત્યાર સુધી સબસિડી પ્રતિ સિલિન્ડર રૂ.૧૭૪.૮૬ મળતી હતી તે વધારીને હવે પ્રતિ સિલિન્ડર રૂ. ૩૧૨.૪૮ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેલુ એલપીજી ગ્રાહકોને એક વર્ષમાં ૧૨ સિલિન્ડર પર સબસિડી મળે છે. તેનાથી વધુ ગેસ સિલિન્ડર ખરીદવા પર બજાર ભાવે પેમેન્ટ કરવું પડે છે. કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી બમણી કરવાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે. ઓઇલ કંપનીઓ દ્વારા પ્રતિ સિલિન્ડર રૂ.૧૪૪.૫૦નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તેના પરની સબસિડીમાં રૂ.૧૩૭.૬૨નો વધારો કરાતાં હવે ગ્રાહકો પર પ્રતિ સિલિન્ડર માત્ર રૂ.૬.૮૮નો જ બોજ પડશે, જોકે ગ્રાહકોએ ગેસ સિલિન્ડર ખરીદવા અગાઉ કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે એ હકીકત છે.