રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યા બાદ કેટલાક મંદિરો થોડો સમય માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે હવે દ્વારકા ધજા ચડાવવા જતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે.
ધ્વજા ચડાવવા મુદ્દે દ્વારકા મંદિર ટ્રસ્ટનો નિર્ણય
ધ્વજા ચડાવવા આવતા લોકોને મંદિરમાં પ્રવેશની છૂટ
25 લોકોને મંદિરમાં પ્રવેશની છૂટ
વિશ્વભરમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે અને ગુજરાતની તીર્થસ્થાનોમાં ભક્તોના પ્રવેશ પર પાબંધી લાદવામાં આવી છે. જો કે, ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ઓનલાઈન દર્શનની ખાસ વ્યવસ્થા જે-તે મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી આવી છે. ત્યારે દ્વારકા તીર્થસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય લીધો છે.
મંદિરમાં 25 લોકોને મળશે પ્રવેશ
મળતી જાણકારી પ્રમાણે, દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ધ્વજા ચડાવવા આવતા લોકોને મંદિરમાં પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે. હવે દ્વારકા મંદિર ખાતે ધ્વજા ચડાવવા આવતા લોકોને 25ની મર્યાદામાં મંદિરમાં પ્રવેશની છૂટ આપવાનો નિર્ણય દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
પહેલા 10 લોકોને જ અપાતો હતો પ્રવેશ
ઉલ્લેખનીય છે કે ભક્તો દૂર દૂરથી દ્વારકા મંદિર ખાતે ધ્વજા ચડાવવા આવતા હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને ભક્તજનો વધાવી રહ્યા છે. આ પહેલા મંદિરમાં ભક્તોને 10ની મર્યાદામાં પ્રવેશની છૂટ આપવામાં આવતી હતી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારે કોરોનાના 2,230 નવા કેસ નોંધાયા છે, તો 29 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા શનિવારે સાજા થનારનો આંકડો વધુ હતો.
શનિવારે 29 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,790 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 7,109 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,57,124 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 544 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 38,703 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.