PM દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે
PM મોદી 75 હજાર યુવાનોને રોજગારની 'ગિફ્ટ' પણ આપશે
દિવાળીનો તહેવાર રોજગારની શોધમાં હોય તેવા યુવાનો માટે ખુશીઓ લઈને આવશે. કારણ કે આ વખતે દિવાળી રોજગારલક્ષી બનવાની છે. એવા અહેવાલ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં હજારો નોકરીઓની જાહેરાત કરશે. ખાસ વાત એ છે કે, તેમણે જૂનમાં જ કહ્યું હતું કે, આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM 22 ઓક્ટોબરે એટલે કે, દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ 75 હજાર યુવાનોને રોજગારની 'ગિફ્ટ' પણ આપશે. વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે.
નોકરી ક્યાં મળશે ?
આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, CISF, CBI, કસ્ટમ, બેંકિંગ સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં યુવાનોને નોકરીની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઓડિશાથી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતથી આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, ચંદીગઢથી માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, મહારાષ્ટ્રથી પીયૂષ ગોયલ, રાજસ્થાનથી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, તમિલનાડુથી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, ઉત્તરપ્રદેશથી ભારે ઉદ્યોગ પ્રધાન મહેન્દ્ર પાંડે, ઝારખંડમાંથી આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડા અને બિહારમાંથી પંચાયતી રાજ પ્રધાન ગિરિરાજ સિંહ સામેલ થશે.