ભારત સરકાર તરફથી કોરોના વાયરસને પગલે પેદા થયેલા આર્થિક સંકટનો સામનો કરવા માટે 21 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. તેમ છતા અમેરિકી બેન્ક ગોલ્ડમેન સાસે પોતાના અનુમાનમાં જણાવ્યું કે 1979 બાદ દેશમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં આર્થિક મંદી આવશે.
મોદી સરકારે આર્થિક સંકટનો સામનો કરવા માટે 21 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે
1979 બાદ દેશમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં આર્થિક મંદી આવશે : ગોલ્ડમેન સાસ
ગોલ્ડમેન સાસ મુજબ કોરોના સંકટથી ભારતીય અર્થવ્યવસ્થામાં આ ત્રિમાસીક ગાળામાં 45 ટકાનો ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત જીડીપી (GDP) માં આ વર્ષે 5 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે. જોકે ગોલ્ડમેન સાસે પોતાના અનુમાનમાં જણાવ્યું કે આર્થિક ગતિવિધિઓ શરૂ થયા બાદ ત્રીજા ત્રિમાસિક ગાળામાં 20 ટકાનો સુધારો જોવા મળી શકે છે.
અમેરિકી બેન્કનું કહેવું છે કે કોરોના સંકટને જોતા આ પેકેજ ઘણું જ ઓછુ છે. વર્ષ 2009ના સંકટ બાદ જે પ્રકારે પોલિસીમેકર્સે પરિસ્થિતિઓને સંભાળી હતી, તેની તુલનામાં આ કમજોર છે. ત્યારે ભારતમાં યુપીએ સરકાર સત્તામાં હતી. ગોલ્ડમેન સાસે પોતાની રિસર્ચ રિપોર્ટમાં કહ્યું કે 2009માં મનમોહન સિંહની સરકારના સમયગાળામાં ભારત આંતરિક રીતે ઘણું જ મજબુત હતું, ત્યારબાદ નીતિગત રીતે પોલિસી મેકર્સે મોટી મદદ કરી હતી. એપ્રિલ અને જુન ત્રિમાસિક ગાળમાં અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બેન્કે ભારતની અર્થવ્યવસ્થામાં 45 ટકાના ઘટાડાની આશંકા દર્શાવી છે. આ પહેલા તેણે 20 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું.
આર્થિક પેકેજની અસર સરકારની અપેક્ષા જેટલી નહીં દેખાય
'ભારતમાં મોટી મંદી' ટાઇટલ સાથે તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકારે જે સુધારાઓનું એલાન કર્યું છે. તેની અસર સરકારની અપેક્ષા પ્રમાણે નહીં જોવા મળે. આટલુ જ નહીં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયોથી આર્થિક ગ્રોથને લઇને તાત્કાલિક કોઇ આશા રાખી શકાય તેમ નથી.
નોંધનીય છે કે કોરોના સંકટનો સામનો કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પેકેજને ઘણા અર્થશાસ્ત્રીઓએ અપુરતુ બતાવ્યું છે.