ગોકુલધામ નાર સંસ્થા દ્વારા આજે અનોખા સંકલ્પ સાથે ધર્મપ્રેમની સાથે દેશપ્રેમ ઉજાગર થાય તેવા આશય સાથે નાર ગોકુલધામ સંકુલ ખાતે 108 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
આણંદમાં 108 ફૂટના રાષ્ટ્રધ્વજનું પ્રતિષ્ઠાન
નાર ગોકુલધામ સંસ્થા દ્વારા રાષ્ટ્રધ્વજનું પ્રતિષ્ઠાન
ગોકુલધામ નારના મેઇન ગેટને અડીને 108 ફૂટના લોખંડના સ્તંભ પર 20X40 ફૂટનો રાષ્ટ્રધ્વજ આજે કાયમ માટે સ્થાપિત કરવામાં આવ્યો છે, આ ઉપરાંત આણંદના 365 ગામડાની 1019 સરકારી પ્રાથમિક શાળાના 2 લાખ 662 વિદ્યાર્થીને નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટમાં 4, 07, 212 લોંગ બૂક, 2 લાખ 662 પેન્સિલ, 55 હજાર લંચ બોક્સ અને 2 લાખ 662 બિસ્કિટના પેકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગોકુલધામ નારના આ કાર્યની નોંધ ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બૂક ઓફ રેકોર્ડ પણ લેશે.
મહત્ત્વનું છે કે, આ સેવાકાર્ય હેલ્પિંગ હેન્ડ્સ ફોર હ્યુમેનિટી વર્જિનિયા યુ.એસ.એના સહયોગથી પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સી.આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બોગસ ખેડૂત બની જમીન લીધી હશે તેમની ખેર નથીઃ મહેસૂલ મંત્રી
કાર્યક્રમ દરમિયાન મહેસુલ મંત્રીએ જાહેર મંચ પરથી બોગસ ખેડૂતોને ચેતવણી આપી કાર્યવાહી માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું. માતરમાં બોગસ ખેડૂત કૌભાંડ ઉજાગર થયા બાદ રાજ્યના મહેસૂલ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બોગસ ખેડૂતો સામે ચેતવણી ઉચ્ચારી જણાવ્યું હતું કે બોગસ ખેડૂત બની જેમણે જમીન લીધી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.