કપૂર ખાનદાની ફિલ્મી વારસા આરકે સ્ટૂડિયો જાણીતા બિઝનેસ ટાયકુને ગોદરેજે ખરીદી લીધો છે. રિપોર્ટમાંથી મળતી માહિતી અનુસાર ગોદરેજ કંપની હવે આરકે સ્ટૂડિયોની જગ્યાએ બહુમાળી એપાર્ટમેન્ટ બનાવશે. જોકે, હજુ સુધી આરકે સ્ટુડિયો વેચાણ રકમ સ્પષ્ટ થઈ નથી. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કપૂર્સે પહેલી વખત આર કે સ્ટૂડિયોને વેચવાની વાત જાહેર કરી હતી. આ અંગે એક પ્લાનનો પણ ખુલાસો કર્યો હતો. 2.20 એકરમાં ફેલાયેલો આરકે સ્ટુડિયોનું મેઈનટેનન્સ વધુ હોવાને કારણે કપૂર્સે વેચી દેવાનો નિર્ણય લીધો હતો.
ગોદરેજ પ્રોપાર્ટીના એક્ઝિક્યૂટિવ ચેરમેને જણાવ્યુ કે, અમે આ ઐતિહાસિક સાઇટ સાથે જોડાઇને ખુશ છીએ. આર કે સ્ટૂડિયો ખૂબ જ વિકસિત વિસ્તારમાં છે. જ્યાં આસપાર અનેક સ્કૂલ, હોસ્પિટલ, મોલ્સ અને કોર્મશિયલ પ્રોપર્ટી છે. આરકે સ્ટુડિયો માટે રણધીર કપૂરે જણાવ્યું હતું કે, ''ચેમ્બુરમાં સ્થિત આ સંપત્તિ મારા પરિવાર માટે ખૂબ જ સ્પેશિયલ રહી છે. એક દાયકા સુધી આ સ્ટૂડિયો ધમધમતો રહ્યો હતો. આ લોકેશન પર નવો અધ્યાય લખવા માટે અમે ગોદરેજ પ્રોપર્ટીની પસંદગી કરી છે.
હિંદી સિનેમામાં શોમેનના નામથી જાણીતા રાજકપૂરે 1948માં આર કે ફિલ્મ્સ એન્ડ સ્ટૂડિયોની સ્થાપના કરી હતી. આ સ્ટૂડિયોમાં 'આવારા', 'શ્રી 420', 'મેરા નામ જોકર' અને 'રામ તેરી ગંગા' મેલી જેવી જાણીતી ફિલ્મોનું પ્રોડક્શન થયું હતું. 2017માં આગ લાગવાથી સ્ટૂડિયોનો મોટો હિસ્સો બળી ગયો હતો. જે બાદ કપૂર પરિવારે ગત વર્ષે તેને વેચવાનો નિર્ણય કર્યો હતો. 70 વર્ષ જૂના સ્ટુડિયોનું હવે ગોદરેજ બીજું શુ કરશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી.