ન્યૂ દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે 2002માં ગોધરા કાંડ બાદ થયેલા તોફાનોને મુદ્દે ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિશેષ તપાસ દળ દ્વારા ક્લિન ચિટ આપવા મામલે ચેલેન્જ આપનારી જકિયા જાફરીની અરજી પર સોમવારનાં રોજ સુનાવણી 26 નવેમ્બર સુધી સ્થગિત કરી દેવાઇ.
ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે "આ મામલાની સુનાવણીમાં કેટલોક સમય લાગશે. અરજી પર 26 નવેમ્બરનાં રોજ સુનાવણી કરવામાં આવશે.
આ મામલાની સુનાવણી શરૂ થતા જ વિશેષ તપાસ દળ તરફથી વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ કહ્યું કે આ અરજીનો વિચાર યોગ્ય નથી અને આમાં તીસ્તા સીતલવાડ બીજા અરજદાર ના હોઇ શકે. પીઠે કહ્યું કે સીતલવાડને જાફરીની અરજીમાં બીજી વાદી બનાવવાનાં મામલા પર સુનાવણી કરતા પહેલા આ આવેદન પર વિચાર કરવામાં આવશે.