રાજકીય સ્વાર્થ ખાતર સદભાવનાના નામે કેવા કેવા ગતકડા થાય છે તેનું ઉદાહરણ ગોધરામાં જોવા મળ્યું. ગોધરાની નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ મતદાન કરનાર અપક્ષ સભ્યોનું જાહેરમાં સન્માન કરાયું અને તમામ 14 સભ્યોને ઘાંચી સમાજે વાહનોની ભેટ આપી. ઇનામોની આ લ્હાણીથી લોકશાહીના સરેઆમ ધજાગરા તો ઉડયા. આ સાથે જ સવાલ ઉભો થઇ રહ્યો છે કે રાજકીય દ્વેષ રાખીને સમાજને કઇ દિશામાં લઇ જવાનો આ છદ્મ પ્રયાસ છે ?
એક એવો કાળો દાગ જેની જેટલી નિંદા કરો તેટલી ઓછી છે. ગુજરાતના સંવેદનશીલ વિસ્તાર એટલે કે ગોધરા શહેરના આ દ્રશ્યો નીચેના વિડીયોમાં છે. જ્યાં પ્રજાએ ચૂંટેલા નગરપાલિકાના સભ્યો ઝુમી રહ્યા છે. હાથમાં ચાવી છે અને મુખથી વેરાતો અવિસર સ્મિત. પરંતુ આ નેતાઓના સ્મિત પાછળ છુપાયેલી છે લોકતંત્રની ઘાતકી દલાલીની કહાની.
આ ઘટનાની કઠોર નિંદા કરવાની જરૂર શા માટે પડી તેનું કારણ પણ જાણી લો. ગોધરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે 19 જૂનના રોજ ચૂંટણી થઇ. જેમાં 14 અપક્ષ સભ્યોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું. છતાંય ભાજપના સભ્ય જ પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બિરાજ્યા. પરંતુ ગોધરાનો ઘાંચી સમાજ 14 સભ્યોના કારનામા પર ફિદા થઇ ગયો અને ગોઠવી નાખ્યો સન્માન સમારોહ.
ઉલ્લેખનીય છે કે આ મહાનુભાવના મુખેથી નિકળેલા શબ્દો જરા પણ શોભા નથી દેતા. કારણકે કઇ એકતાની વાત થઇ રહી છે અહીંયા ? આ પ્રદર્શન ઇનામોની લ્હાણી અને કથિત સન્માન સમારોહ જનતાના ચૂંટેલા સભ્યોની થયેલી ખરીદીનો પુરાવો છે. હજ્જારોની ભીડ વચ્ચે તમામ 14 સભ્યોએ સન્માન રૂપે બાઇક અને એક્ટીવા ભેટમાં અપાયા અને હદ તો એ છે કે લોકશાહીની ગરીમાનું પડીકુવાળીને અપક્ષ સભ્યોએ કોઇપણ ખચકાટ વગર વાહનોની ચાલી લઇને ખિસ્સામાં પણ મૂકી દિધી. આ સન્માન સમારોહ દ્વારા રાજકીય સ્વાર્થ ખાતર સમાજમાં એવી આગ લગાવવાનો પ્રયાસ છે જેનાથી ગોધરા પહેલા પણ દઝાઇ ચુક્યું છે. પરંતુ તેમ છતાંય અહિંયા એકતાનું મહિમામંડલ થઇ રહ્યું છે.
આપને જણાવી દઇએ કે આવા સમારોહ સમાજની એકતા માટે તો ખતરો છે સાથે જ લોકશાહી માટે પણ ઘાતકી કહી શકાય. કારણકે આવા સમારોહથી રાજકીય સમીકરણ બદલવાનો પ્રયાસ પણ હોઇ શકે છે. મત કોને આપવો એ નક્કર કરવાનો વ્યક્તિનો અંગત અધિકારી ભલે હોય પરંતુ સવાલ ઉઠે છે કે રાજકીય દ્વેષ રાખીને મતદાન કરવું કેટલું યોગ્ય છે ? શું અપક્ષ સભ્યોને લાલચ આપવામાં આવી હતી ? ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પાછળ કોઇ રાજકીય ષડયંત્ર છે ?
અપક્ષ સભ્યોએ કેમ મફતમાં લીધા વાહનો ? ભાજપ વિરુદ્ધ મતદાન કરવા વાહનોની ભેટ કેટલું યોગ્ય ? સત્તા માટે રાજકીય વિરોધની આ હદ કેટલી યોગ્ય ? કોમીએકતા કે પછી રાજકીય લાભ માટે મોટા નેતાની આ રણનીતિ છે ? લોકશાહીના ધજાગરા ઉડયા બાદ પણ કેમ કરવામાં આવ્યું જાહેરમાં સન્માન ? શું આ ઘટના મતાધિકારના ખોટો ઉપયોગનું ઉદાહરણ નથી ?. જો કે હવે લોકતંત્રની ગરીમા બચાવવાની બાજી જિલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણીપંચના હાથમાં છે. ત્યારે આ ઘટના બાદ કોઇ કઠોર પગલા લેવામાં આવે છે કે નહી તે જોવું રહ્યું.