દેશભરમાં મંદીનો માર ચાલી રહ્યો છે. ત્યારે સુરતનો હીરા ઉદ્યોગ પણ મંદીનો શિકાર થયો છે. કરોડોનો વેપાર કરતી કંપનીના વર્કરોને છૂટા કરવામાં આવી રહ્યા છે. સુરતની ગોઘાણી ઈમ્પેક્ષ ડાયમંડ કંપની બંધ થવાના એંધાણ છે. તેવામાં શનિવારે 250 અને આજે 200 કર્મીઓને છૂટા કરવામાં આવ્યા છે.
મંદીના કારણે મોટી મોટી કંપનીઓમાં રત્નકલાકારો બેરોજગાર
ગોઘાણી ઈમ્પેક્ષ ડાયમંડ કંપનીમાંથી કુલ 450 રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. મંદીના કારણે મોટી મોટી કંપનીઓમાં પણ રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. ત્યારે કંપનીઓ પણ ખોટમાં ચાલી રહી હોવાથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 35 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં કાર્યરત કંપની ગોધાણી ઈમ્પેક્ષ મંદીનો શિકાર બની છે અને 450 જેટલા રત્નકલાકારોને છૂટા કરતાં રત્નકલાકારોમાં પણ રોષ જોવા મળ્યો છે. રત્નકલાકારો દ્વારા કલેક્ટર ઓફિસ પર ઘરણા કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
રત્નકલાકારોની ચિમકી
આજે છૂટા કરી દેવાયેલા અને અન્ય રત્નકલાકારો કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલા સ્પોર્ટ ગ્રાઉન્ડ પાસે એકઠા થયા હતા. જ્યાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમને અમારો હક અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કલેકટર ઓફિસ પર ધરણાં કરીશું.
રત્નકલાકારોએ વધુમાં જણાવ્યું કે, અમે ગત શુક્રવારે સવારે કારખાને રોજની જેમ ગયા ત્યારે શેઠે અચાનક જ કારખાનું બંધ કરી દેવાનું હોવાથી કારીગરોને રજા આપી દીધી હતી. ઓચિંતી ના પાડી દેતા અમારા માટે ગંભીર પ્રશ્ન સર્જાયો છે. અમને બીજે કામ પર લગાવી દેવાનું કહ્યું હતું. જોકે, અમે જાણીએ છીએ કે આ સમયમાં કોઈને ત્યાં જગ્યા નથી. બધા પોતાના કારીગરોને સાચવવા મથે છે. અમને મહિના અગાઉ કહ્યું હોત અથવા દિવાળી સુધી કંપની ચાલુ રાખી હોત તો અમારે હેરાન ન થવું પડ્યું હોત. અમારી માંગ છે કે અમને વળતર ચુકવવામાં આવે.
કર્મચારીઓ કામે બેસ્યા વગર જ વિરોધ કરે છે: મનોજભાઈ ગોધાણી
તો આ અંગે મનોજભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે, અમે ગત શુક્રવારે 100 જેટલા કારીગરોને મંદીના કારણે છૂટા કર્યા હતાં. 250-150ના આંકડા ખોટા છે. અમે 100 જેટલા કારીગરો સાથે મહિનો કારખાનું ચાલું રાખવાના છીએ. મહિના પછી કારીગરોને પોતાની જગ્યા શોધી લેવા કહ્યું હતું પરંતુ કર્મચારીઓ કામે બેસ્યા વગર જ વિરોધ કરી પોતાની રીતે મનસ્વી વાતો ફેલાવી રહ્યાં છે જે તદ્દન પાયાવિહોણી છે.