જન્માષ્ટમી પર્વ નિમિતે દેશભરમાં કાળીયા ઠાકોરના જગ પ્રસિધ્ધ મંદિર દ્વારકા, ડાકોર અને શામળાજીને ઝળહળતી રોષનીથી શણગારવામાં આવ્યું છે. દ્વારકા સહીત દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની શ્રધ્ધા-ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરે ભક્તોનો આજે સવારથી જ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. બજારોમાં જાણે માનવ સાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાંરે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મના વધામણાં થયા હતા જેને લઇને ભક્તોમાં જબરો ઉત્સાહ અને ભગવાન કૃષ્ણના જન્મને વધાવી લેવા ભારે થનગનાટ જોવા મળ્યો છે.
ઈસ્કોન મંદિરમાં અમિત શાહે આરતી કરી
તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે અમદાવાદની મુલાકાત લઈ જન્માષ્ટમીનો તહેવાર અમદાવાદમાં ઉજવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરાયુ હતું. ત્યારબાદ રાત્રે સાડા અગીયાર કલાકે ઈસ્કોન મંદિરમાં દર્શન માટે અમિત શાહ પહોંચ્યા હતા. જયા આરતી કરી ભગવાન દ્વારકાધીશના 5249માં જન્મદિવસની ઉજવણી કરી હતી.
12 ના ટકોરે ગામડા એન શહેરો ઉપરાંત તમામ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી શરૂ
નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર દ્વારકા સહીત કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠયા છે અને ગગનભેદી જયઘોષથી વાતાવરણ પવિત્ર બન્યું છે. રાત્રે 12 ના ટકોરે ગામડા એન શહેરો ઉપરાંત તમામ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી શરૂ કરાઇ હતી. સમગ્ર દેશભરના કૃષ્ણ મંદરોમાં ધૂમધામ પૂર્વક વ્હાલા કાન્હાના વધામણા કરવામાં આવ્યા છે. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કીના નાદ સાથે ડાકોર મંદિરમાં પણ કૃષ્ણ ભક્તિનો માહોલ બરોબરનો જામ્યો હતો અને શામળાજી મંદિર ખાતે પણ મહાઆરતી કરી જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. એજ રીતે અમદાવાદના ઈસ્કોન મંદિરના આંગણે પણ કૃષ્ણ જન્મને વધાવાયો હતો.
ભગવાન દ્વારકાધીશનનો 5249મો જન્મદિવસ ઉજવાયો
ભગવાન દ્વારકાધીશનો 5249મો જન્મદિવસ દ્વારકાના જગતમંદિરે રંગેચંગે ઊજવાઇ રહ્યો છે. પ્રભુને શૃંગાર ભોગ ધરાવાયા પછી ભગવાનની શૃંગાર આરતી કરવામાં આવી હતી., જેનો લહાવો લેવા માટે અને કાળિયા ઠાકરને જન્મદિવસનાં વધામણાં આપવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર દ્વારકાનગરી જાણે કૃષ્ણમય બની હતી. તો ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઇ છે. ભગવાન કૃષ્ણને પારણે ઝૂલાવ્યા હતા. ત્યારે ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર “જય રણછોડ. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે.
દ્વારકા, ડાકોર અને શામળાજી ઉપરાંત અમદાવાદમાં મંદિરમાં ભક્તો કુષ્ણ ભક્તિમાં ભાવ વિભોર
જન્માષ્ટમી પર દ્વારકામાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. ભગવાન કાળીયાનાથને નિરખવા સવારથી જ ભક્તો લાંબી કતારો લગાવી રહ્યા છે. યાત્રાળુઓ જન્માષ્ટમી પર ભગવાનને અવનવી ભેટ ધરી રીઝવવા પ્રયત્નો કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ દ્વારકા ખાતે જગત મંદીરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.દ્વારકા, ડાકોર અને શામળાજી ઉપરાંત અમદાવાદમાં મંદિરમાં ભક્તો કુષ્ણ ભક્તિમાં ભાવ વિભોર બન્યા છે અને ઉમળકાભેર ઉજવણી કરી રહ્યા છે.