સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેટ સમિટનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ સમિટ સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. તેનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. 29મીએ સવારે 11 વાગે તેઓ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.આ ત્રણ દિવસ ચાલનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં અંદાજે 5 લાખથી વધુ વિઝિટર્સ ભાગ લેશે. 29,30 એપ્રિલ અને 1મે એમ ત્રણ દિવસ આ સમિટ ચાલશે.
આ મહાનુભવો રહેશે હાજર
સરદાર ધામ આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના અનેક પ્રતિનિધીઓ ઉપસ્થિતિ રહેશે. ખાસ કરીને ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુસોત્તમ રૂપાલા અને અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.
950 સ્ટોલ હશે
સરસાણા ખાતે 30હજારચોરસમીટરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે.જેમાં આશરે 950સ્ટોલ હશે. આઇટી, ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, રબર, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ સહિતના 15થી વધુ સેક્ટરના સ્ટોલ છે. મહિલા ઉદ્યોગકારો તેમજ કૃષિ અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.
વેપાર ઉદ્યોગનો વિકાસ કરવાનો હેતુ
સરદારધામના પ્રમુખે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય મિશન-2026 હેઠળ રાજ્યમાં વેપાર ઉદ્યોગનો વિકાસ અને નવા ઉદ્યોગ સાહસિકોને તક મળે તેમજ રોજગારી સર્જન કરવાનો છે. યુવા ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે તે સમિટનો મુખ્ય ધ્યેય છે. સમિટ દરમિયાન અગ્રણી પાટીદાર 10 હજાર જેટલા ઉદ્યોગકારો આવશે તેમજ દેશ-વિદેશના વિવિધ વિષયોના જાણકાર સેમિનારમાં સંબોધન કરશે.
2020માં ગાંધીનગરમાં યોજાઇ હતી સમિટ
મહત્વનું છે સરદારધામ દ્વારા મિશન 2026 હેઠળ રાજ્ય સરકારના વાઈબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. વર્ષ 2018માં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અને વર્ષ 2020માં ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સુરતના સારસાણા ખાતે પણ સમિટ યોજાશે.