કોરોના વાયરસના કારણે દુનિયાભરની એરલાઈન્સ ભારે મુશ્કેલીમાં મુકાઇ છે. અનેક દેશોએ વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છો. એરલાઇન્સ કંપનીઓના સંગઠન સીએપીએએ જણાવ્યું છે કે પ્રવાસીઓની સંખ્યામાં બહુ મોટો ઘટાડો થતાં ઘણી એરલાઈન્સ દેવાળુ ફુંકવાની સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.
એરલાઈન્સ પાસે રહેલી રોકડ પણ ઝડપથી વપરાઈ રહી છે
દુનિયાભરમાં વિવિધ એરલાઈન્સે પોતાના ઓપરેશનમાં ભારેભરખમ કાપ મૂક્યા છે. એટલાન્ટા સ્થિત ડેલ્ટા એરલાઈન્સે જણાવ્યું હતું કે, તે તેના 300 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ કરી દેશે, અને ફ્લાઈટ્સની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો કરશે.
અમેરિકાએ યુરોપિયન યુનિયન, યુકે અને આયર્લેન્ડથી આવતા નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારત સરકારે પણ ૧૧ માર્ચ પહેલા ઈશ્યૂ થયેલા તમામ ટુરિસ્ટ વિઝા અને ઈ-વિઝાને સસ્પેન્ડ કરી દીધા છે. સીએપીએનું કહેવું છે કે, મે ૨૦૨૦ સુધીમાં દુનિયાની મોટાભાગની એરલાઈન દેવુ ફુંકવાની સ્થિતિમાં આવી જશે. તેને બચાવી લેવા માટે સરકાર અને ઈન્ડસ્ટ્રીએ સાથે મળીને પગલાં લેવા જરૂરી છે. એરલાઈન્સ પાસે રહેલી રોકડ પણ ઝડપથી વપરાઈ રહી છે.
એક બાજુ અનેક એરક્રાફ્ટ ગ્રાઉન્ડ કરાય છે અને જે ઉડી રહ્યા છે તેને પણ બહુ થોડા પ્રવાસી મળે છે. એડવાન્સમાં પણ કેન્સલ થઈ રહ્યા છે. કોરોના સામે સરકાર દ્વારા જાહેર કરાતાં નવા નિયમોથી મુશ્કેલી વધી રહી છે. સ્થિતિ સામાન્ય કયારે બનશે તે કોઇ જાણતું નથી. ૨૬૦ એરક્રાફ્ટ ધરાવતી ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડીગો એ પણ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી તેના રોજના બુકિંગમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો થયો છે.