પ્રકૃતિની કોઈ પણ ‘વિનાશલીલા’નો સીધો સંબંધ મનુષ્યના ભૌતિક વિકાસની અમર્યાદિત લાલસા, પોતાના ભોગ-વિલાસની ગતિવિધિઓ માટે પ્રાકૃતિક શક્તિઓનું નિકંદન કાઢીને કુદરતને પડકાર ફેંકવા સાથે જ હોય છે.
ઉત્તરાખંડની ઘટનાઓથી બોધપાઠ ક્યારે લેવાશે?
થોડા સમય પહેલા કેદારનાથધામ સુધી પહોંચ્યા હતા પૂરના પાણી
પર્યાવરણનીતિનો લેવાઇ રહ્યો છે ગેરલાભ
પવિત્ર ‘દેવભૂમિ’ ઉત્તરાખંડમાં લગભગ આખું વર્ષ તીર્થયાત્રીઓની ભારે ભીડ જોવા મળે છે. શરૂઆતથી જ ત્યાં પર્યાવરણ સાથે એટલી છેડછાડ કરવામાં આવી છે કે આજે પણ આપણે તેનાં દુષ્પરિણામ ભોગવી રહ્યા છીએ. જોશીમઠ ઉપર ગ્લેશિયર તૂટી પડવાની કુદરતી આફતથી જૂન-૨૦૧૩માં કેદારનાથધામ ઉપર વાદળ ફાટવાથી (ક્લાઉડ બર્સ્ટ) અને પૂર આવવાથી થયેલા ભયંકર વિનાશની કડવી યાદો ફરી તાજી થઈ છે.
પૂરનાં પાણી કેદારનાથધામ સુધી
જૂન-૨૦૧૩માં ચોરાબાડી ગ્લેશિયર પીગળવાથી મંદાકિની નદીમાં આવેલા ભયાનક પૂરનાં પાણી કેદારનાથધામ સુધી આવી ગયાં હતાં, જેમાં ૫,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં અથવા તો તેઓ ગુમ થઈ ગયા હતા.
સમગ્ર ઉત્તરાખંડમાં નાના-મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટની જાળ એવી રીતે ફેલાઈ ચૂકી છે કે હિમાલય પર્વતની મુખ્ય શૃંખલાની હાલત પણ હવે બગડી રહી છે. રાજ્યમાં ૨૫ મેગાવોટથી નાના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે કોઈ પર્યાવરણનીતિ જ ઘડવામાં આવી નથી અને તેનો જ ભરપૂર ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.
વર્ષ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે કેદારનાથધામની ઘટના પર સુઓમોટો કરીને ૨૦૧૪માં અલકનંદા અને ભાગીરથી નદીઓ નજીકના પ્રસ્તાવિત ૩૯માંથી ૨૪ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર સ્ટે લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે ચેતવણી પણ આપી હતી કે રાજ્યમાં જળવિદ્યુત પરિયોજનાનો અમર્યાદિત વિકાસ વિનાશકારી સાબિત થઈ શકે છે, પરંતુ ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ગંભીર વીજ સંકટનો હવાલો આપીને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ અને ડેમનું નિર્માણકાર્ય ચાલુ જ રાખ્યું હતું.
એક અભ્યાસ અનુસાર ઉત્તરાખંડની આસપાસ આવેલી ૧૮૩૪ ગ્લેશિયર હિમાલય પર એકઠા થઈ રહેલા ‘બ્લેક કાર્બન’ અને પૃથ્વીના સતત વધતા જતા તાપમાનના કારણે બમણી ઝડપથી પીગળી રહી છે. રાજ્યનાં જંગલોમાં અવારનવાર લાગતી આગથી પણ ગ્લેશિયર પીગળવાની ઝડપ ભયાનક થઈ ગઈ છે.
વારંવારની ગંભીર ચેતવણીઓની કરાઇ અવગણના
વારંવારની ગંભીર ચેતવણીઓને આપણે, આપણી સરકાર કે આપણા અધિકારીઓએ ગણકારી જ નહીં અને આજે તેનું વિનાશક પરિણામ આપણે સૌ જોઈ રહ્યા છીએ.
ઉત્તરાખંડની નદીઓનાં ક્ષેત્રોમાં જે રીતે હાઈડ્રોપાવર પરિયોજનાઓ બની ચૂકી છે કે બનાવવામાં આવી રહી છે તે તમામ પર પણ મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જોશીમઠ ઉપર વિષ્ણુપ્રયાગ પરિયોજનાની નજીકની ગ્લેશિયર તૂટી પડવાથી જે દુર્ઘટના સર્જાઈ તેનું પુનરાવર્તન ગમે ત્યારે થઈ શકે છે.
સપ્ટેમ્બર-૨૦૧૨માં જ્યારે ઉત્તરાખંડના ઉખીમઠમાં ભયંકર ભૂસ્ખલન દુર્ઘટના બની હતી ત્યારે ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રમાં ઓક્ટોબર મહિનામાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે કોઈ પણ પ્રકારના વિકાસકાર્ય માટે રાજ્યમાં ક્યાંય પણ વિસ્ફોટ કરીને પહાડને તોડવા જોઈએ નહીં. આ ભલામણને રાજ્યની દરેક સરકાર ઘોળીને પી ગઈ અને કોઈએ આ ચેતવણી પર ધ્યાન જ ન આપ્યું. નિષ્ણાતોના મતે જે રીતે પહાડમાં સુરંગ બિછાવવાનું કામ થાય છે એ જ વિનાશકારી ઘટનાઓને આમંત્રણ આપનારું હોય છે.
વર્ષ ૨૦૧૩નો એક રિપોર્ટ જ્યારે સાફ-સાફ એવું કહેતો હોય કે વિષ્ણુપ્રયાગ, ધૌલી ગંગા, શ્રીનગર, મનેરી ભલી, સિંગોલી ભટવારી અને ફાટા ભુયંગ હાઈડ્રોપાવર પરિયોજનાઓ વિનાશક જળપ્રલયને નોતરી શકે છે ત્યારે સરકારની પણ એ ફરજ બને છે કે તે ઉત્તરાખંડના પ્રાકૃતિક સ્રોતોના આડેધડ નિકંદનને રોકવા કડક નિયમો-કાયદા બનાવે પણ અફસોસ કે સરકાર પોતાનું આ કર્તવ્ય નિભાવી શકી નથી. ‘દેવભૂમિ’ના નામથી જાણીતા રાજ્ય ઉત્તરાખંડના કુદરતી સૌંદર્યને બચાવી રાખવા માટે કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી.