15 ઓગસ્ટ બાદ દેશના તિરંગા રોડ અને કચરાપેટી પર રઝળતા જોવા ન પડે તે માટે અનોખી પહેલ શરૂ કરાઇ, તિરંગો જમા કરાવવા વધી ગયો ધસારો, તિરંગાની જાળવણીની ચિંતા ટળી
`કલ્પવૃક્ષ ઓર્ગેનિક'ની નવતર પહેલ
તિરંગાના સન્માનનું નવું અભિયાન
લોકોને આ સ્કીમ બહુ `મીઠી' લાગી
દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની જોશ પૂર્વક ઉજવણી કરી હતી અને દરેક ઘર, દરેક વાહન પર તિરંગો જોવા મળ્યો હતો પરંતુ હવે 15 ઓગસ્ટ બાદ દેશના તિરંગા રોડ અને કચરાપેટી પર રઝળતા જોવા ન પડે તેની પણ ચિંતા કરવાની છે ત્યારે દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય માટે અમદાવાદનો કલ્પવૃક્ષ ઓર્ગેનિક સ્ટોર આગળ આવ્યુ છે અને 16થી 18 ઓગસ્ટ સુધી દેશહિતમાં તિરંગાઓ પરત લેવાની જાહેરાત કરી છે.
ઇન્ક્વાયરી માટે 2 હજારથી પણ વધુ કોલ આવ્યા
હર હાથ તિરંગા, હર ઘર તિરંગા અભિયાનમાં અમદાવાદના લોકો જોશભેર જોડાયા હતા અને મોટાભાગના ઘરો, વાહનો અને દુકાનો પર તિરંગાઓ જોવા મળ્યા હતા પણ 15મી ઓગસ્ટ બાદ આ તિરંગાઓ રસ્તાઓ પર રઝળતા જોવા ન મળે અને તિંરગાનું અપમાન ન થાય માટે અમદાવાદના પાલડી અને ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ ઓર્ગેનિક સ્ટોર દ્વારા તિરંગા પરત લઇ સામે રૂ.50માં ગોળ અથવા ઓર્ગેનિક ખાંડ સાથે ચાંદીનો નાનો સિક્કો આપવાની જાહેરાત કરવામાં આવી છે. કલ્પવૃક્ષ ઓર્ગેનિક સ્ટોરના માલિક જણાવી રહ્યાં છે કે આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય એ બાબત ધ્યાને રાખી દેશહિતમાં અમે આ પ્રકારનો નિર્ણય કર્યો છે.ગઇકાલથી આજ સવાર સુધીમાં ઇન્ક્વાયરી માટે 2 હજારથી પણ વધુ કોલ આવી ચુક્યા છે.
એકત્રિત કરેલા તિરંગા અંગે શું કરવું તેનો વિચાર
કલ્પવૃક્ષ ઓર્ગેનિક સ્ટોર દ્વારા દેશહિતમાં કરવામાં આવેલા નિર્ણયને અમદાવાદવાસીઓએ પણ આવકાર્યો હતો.મોટી સંખ્યામાં લોકો પણ સ્ટોર ખાતે પહોંચી પોતાના ઘર, દુકાન, વાહનમાં લગાવેલા પોતાના તિરંગા પરત કરવા માટે પહોંચી રહ્યાં હતા. લોકોએ જણાવ્યુ હતુ કે દરેક લોકો રાષ્ટ્રધ્વજને સાચવી નથી શકતા તેવામાં કલ્પવૃક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલી મુહીમ સરાહનીય છે. કલ્પવૃક્ષ દ્વારા તિરંગાના સન્માન માટે કરવામાં આવેલો પ્રયાસ સરાહનીય છે. કલ્પવૃક્ષ દ્વારા તંત્ર અને NID સંસ્થા સાથે પણ વાતચીત કરી રહ્યું છે કે એકત્રિત કરેલા તિરંગાઓનું શું કરવુ જોઇએ પરંતુ 138 કરોડની વસ્તીવાળા દેશમાં અનેક કલ્પવૃક્ષ સ્ટોર જેવી સંસ્થા અને લોકો તો તિરંગાના સન્માન માટે આગળ આવશે પરંતુ લોકો તિરંગા પ્રત્યે પોતાની ફરજ સમજે એ પણ જરૂરી છે.