'લગ્ન' એવો શબ્દ કાને અથડાય એટલે આપણી નજર સામે વર-કન્યાનું દ્રશ્ય ખડુ થઈ જાય. પરંતુ આજે અમે તમને એક એવા લગ્નમાં લઈ જઈશું, જ્યાં તમે વર અને કન્યાને નહીં પરંતુ બે કન્યાને એકબીજા સાથે સપ્તપદીના મંગળફેરા ફરતાં જોશો. પરંતુ હા બે કન્યાને મંગળફેરા ફરતી જોઈએ તમે એવું ન માની લેશો કે તેણી બન્નેના લગ્ન થઈ રહ્યા છે. તો આખરે શું છે આ અનોખા લગ્નની આખી વાત?
વરરાજાના બદલે તેની બહેન કન્યાને પરણવા આવી
જાન આવી ગઈ છે...આ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને નાચતી જતી આ મહિલાઓ જાનડીઓ બનીને જાન સાથે જોડાઈ છે. શરણાઈના સૂર રેલાઈ રહ્યા છે. ધ્રબાંગ ધ્રબાંગ ઢોલ ઢબૂકી રહ્યા છે. સાથે છે જાનૈયા પુરુષો અને મહિલાઓ, કોઈ વરના કાકા છે તો કોઈ વરના માતા-પિતા છે. માથા પર વાંસથી બનેલો મોટો કલાત્મક ઘડો લઈને આવતી આ શણગારથી સજ્જ યુવતી વરની બહેન છે. બધા છે પરંતુ તમને આ જાનમાં ક્યાંય વરરાજા જોવા મળશે નહીં. કેમ કે, વરરાજા ઘરે જ રહ્યા છે. પરંતુ વરરાજાના બદલે તેની બહેન કન્યાને પરણવા આવી છે. ચિંતા ન કરશો વરરાજા કંઈ રિસાઈ નથી ગયા તેઓ તો ઘરે રહીને એક પરંપરાગત રિવાજનું પાલન કરી રહ્યા છે.
કોઈ યુવક પરણવા માટે વરરાજા બની આવી શકતા નથી
હા આ ગામનું નામ છે સુરખેડા. છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ બોર્ડર સાથે જોડાયેલા આદિવાસી બહુમતી ધરાવતા સુરખેડા, અંબાલા અને સનાડા ગામમાં એક આશ્ચર્યચકિત કરનારો રિવાજ અસ્તિત્વ ધરાવે છે. આ ગામોમાં એવો રિવાજ છે કે, કોઈ યુવક વરરાજા બનીને કન્યાને પરણવા જઈ શકતો નથી. કારણે કે આ ગામોમાં બહારગામથી કોઈ યુવક પરણવા માટે વરરાજા બની આવી શકતા નથી. પરંતુ હા વરરાજાની જગ્યાએ તેમની સગી બહેન કે કૌટુંબિક બહેન જ કન્યાને પરણવા જાન સાથે જાય છે. વરરાજાની બહેન જ તેની થનાર ભાભી સાથે મંગળફેરા ફરે છે. હવે તમે લગ્નની ચોરી નીચે મંગળફેરા ફરતી આ બે કન્યાને જોશો તો તમારી શંકાનું અડધું સમાધાન થઈ ગયું હશે.
આ પરંપરાની શરૂઆત ક્યારથી શરૂ થઈ...
આ મંગળફેરા ફરતી આ બે યુવતીઓમાંની આગળ ચાલતી યુવતી વરરાજાની બહેન છે જે અહીં વરરાજાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પાછળ ચાલતી યુવતી કન્યા છે. મંડપ નીચે સગા સંબંધીઓની હાજરીમાં લગ્નવિધિ થઈ ગયા બાદ વરરાજાની બહેન જ ભાઈ માટે કન્યાને પોતાના ઘેર લાવે છે. ઘરે આવ્યા બાદ બહેન ભાઈને કન્યા સોંપી દે છે. અહીં પતિ-પત્ની થોડી ધાર્મિક વિધિ પૂરી કરીને પોતાના સંસારની શરૂઆત કરે છે. આ ગામમાં આ પરંપરાની શરૂઆત ક્યારથી શરૂ થઈ અને કોણે કરી તેના વિશે કોઈને ખબર નથી પરંતુ આ રિવાજ પાછળની ધાર્મિક માન્યતા એ છે કે, અહીંના આદિવાસીઓ જે દેવને પૂજી રહ્યા છે તે દેવ બાળકુંવારા છે તેથી તેમનું માન રાખવા અહીં આદિવાસીઓ પણ પોતાના મુરતિયા પુત્રને વરરાજના વેશે પરણવા જવા દેતા નથી. પરંતુ પોતાની દીકરીઓને જ પોતાના પુત્રના બદલે વરરાજા બનાવી પરણવા મોકલે છે.
આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો...
નવાઈની વાત એ પણ છે કે, આદિવાસીઓમાં લગ્ન કરાવવા માટે બ્રાહ્મણ નથી હોતા, પરંતુ ત્યાં પટેલ-પૂજારા હોય છે. તેઓ જ ગામમાં પરંપરાગત પૂજા-વિધિ કરતાં હોય છે અને લગ્નની વિધિ પણ તેઓ જ કરે છે. ગામના આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો દેવ નારાજ થઈ જશે એ ગામમાં અઘટીત ઘટના બને તેવું ગ્રામજનોનું માનવું છે. આ ભયના કારણે જ આ પરંપરા અહીં વર્ષોથી જીવિત રહી છે.