ડાંગમાં ચોમેર હરિયાળી વચ્ચે નાના-મોટા ધોધ જીવંત થયા છે ત્યારે અદભૂત સૌંદર્ય ધરાવતો ગીરા ધોધ પણ સક્રિય થયો છે
ગુજરાતનું બેસ્ટ નેચરલ પ્લેસ
કુદરતની નજીક હોવાનો કરાવશે અહેસાસ
ડાંગમાં ગીરા ધોધ થયો જીવંત
ગુજરાતના એવા ઘણા સ્થળો છે જ્યાં તમને કુદરતી નજારો નજીકથી માણવાનો લ્હાવો મળે. એવા સ્થળોમાનું એક એવુ ડાંગ. ડાંગ ભલે આર્થિક રીતે પછાત રહ્યુ પરંતુ કુદરતે ડાંગને પ્રકૃતિનો અખૂટ ખજાનો આપ્યો છે. ત્યારે ચોમાસુ શરૂ થતા ડાંગની રોનક જ કંઇક જુદી જોવા મળે છે. ડાંગમાં એવા ઘણા સ્થળો છે જ્યાં નિરાંતે બેસીને અલૌકીક શાંતિ અને કુદરતના સાંનિધ્યનો અનુભવ કરી શકાય ત્યારે આજે વાત કરીએ ગીરા ધોધની..
મનમોહક ગીરાધોધનું સૌદર્ય
ગીરા ધોધ ડાંગ જિલ્લાની ઓળખ છે. ડાંગમાં વરસાદી મોસમ શરૂ થતા જ કુદરતી સૌદર્ય ખીલી ઉઠ્યું છે. વઘઇના આંબાપાડા ખાતે આવેલો ગીરા ધોધ જીવતં થતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને વલસાડ જિલ્લામાં ઘણા નાનાં-મોટાં ધોધ પરંતુ ગુજરાતના સૌથી સુંદર ધોધમાં જો કોઇ નામ મોખરે હોય તો તે ગીરા ધોધ છે. વઘઇમાં આવેલો ગીરા ધોધ સૌંદર્યની શોભા બન્યો છે. જંગલની વચ્ચે ગીરા ધોધ શરૂ થતાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ધુમ્મસ-વરસાદ વચ્ચે ધોધનો નયનરમ્ય નજારો
ચોમાસામાં જયારે અંબિકામાં બે કાંઠે વહેતી હોય ત્યારે આ ધોધ સક્રિય બને છે. અંબિકા નદીનુ નીર જ ધોધ રૂપે પડે છે જે આગળ વહીને બિલિમોરા પાસે અરબીસમુદ્રને મળે છે. ત્યારે હાલમાં પણ આ ધોધ જીવંત બનતા પ્રવાસીઓ ક્યાંય ક્યાંયથી ઉમટી પડ્યા છે. એક તરફ વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ વહેતો આ ધોધ, વળી ચોમેર વનરાજી તો ખરીજ. એટલું મનમોહક દ્રશ્ય સર્જાયુછે કે બસ બે ઘડી જોતા જ રહી જવાય.
કેમ પડ્યું ગીરા ધોધ નામ?
વઘઇના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ ઍક ચોક્કસ કારણ છે. આ નામ ઍક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતો ને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક ઍક ઉંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે અોળખવામાં આવે છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ઍક ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતો ચેક ડેમ અોવરફલો થઇ ધોધ સ્વરૂપે ગીરા નદી નીચે પડી અંબિકામાં સમાઇ જાય છે. અહીંથી અંબિકા નદીના અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.
કેવી રીતે પહોંચવું?
ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારા જવાના રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી, સાઇડમાં એક રસ્તો પડે છે. આ રસ્તે ૨ કી.મી. જેટલું જાવ એટલે ગીરા ધોધ પહોંચી જવાય. ટૂંકમાં, વઘઈથી ગીરા ધોધ ૪ કી.મી. દૂર છે. ગિરિમથક સાપુતારા અહીંથી ૫૦ કી.મી. દૂર છે. એ એક જોવા જેવું સ્થળ છે. વઘઈ, સૂરતથી ૧૫૦ કી.મી., અમદાવાદથી ૪૦૦ કી.મી. અને મુંબઈથી ૨૫૦ કી.મી. દૂર છે. વઘઈ રેલ્વે સ્ટેશન, બીલીમોરા-વઘઈ રેલ્વે લાઈન પર આવેલું છે. રહેવા માટે વઘઈ અને સાપુતારામાં હોટલો છે.