સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા ભારે તારાજીના દૃશ્યો જોવા મળ્યા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળતા માલસામાનને નુકસાન થયું હતું. જયારે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું હતું. સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ ગીરસોમનાથ અને પોરબંદરના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં થયેલી વરસાદી તારાજી પર કરીએ એક નજર.
ઉનામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી. ઉનાની સાચી પરિસ્થિતિથી અંગે તપાસ કરવા વીટીવી ઊનાના માણેકપુરા ગામે પહોંચ્યું હતું. અહીં તપાસ કરતા જાણવા મળ્યું કે ઉનાના માણેકપુરા ગામના કોઝવે પરથી પાણી વહી રહ્યું હતું. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. 10 દિવસથી માણેકપુરા ગામ સંપર્ક વિહોણું હતું. કારણકે ગામમાં પહોંચવા માટેનો આ એક માત્ર રસ્તો છે અને તે પાણીમાં ગરકાવ હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વરસાદી તારાજી બાદ ઉનાના ખેડૂતોની કફોડી હાલત બની હતી. ભારે વરસાદના કારણે પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બે બે વાર વાવણી કરી હોવા છતાં ખેડૂતોનો ઉભોપાક ખાખ થતાં તમામ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ધરતી પુત્રોની પોકાર સાંભળતા Vtvની ટીમ ઉનાના સોખડા ગામે પહોંચી હતી. અને અહિના ખેડૂતોની મુશ્કેલી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજીત 250થી પણ વધુ એકર જમીન ધોવાઈ ગઈ હતી. અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ છે. આ ઉપરાંત ગીર ગઢડામાં મૂશળધાર વરસાદ પડતા ખેતરો જળબંબોળ થયા હતા. ભારે વરસાદના પગલે ખાપર ગામે હજુ ખેતરોમાં પાણી ઓસર્યા નથી. જેના પગલે ખેતરો ધોવાયા હતા. જેના કારણે રોકડિયો પાક નાશ પામ્યો હતો.
મેઘરાજા અમુક જિલ્લાઓમાં એવા વરસ્યા કે ખેડૂતોનો મહામુલો પાક વરસાદી આફતમાં ધોવાયો ગયો. અને બીજી તરફ મેઘરાજાએ એવી તબાહી મચાવી કે ખેડૂતો પાયમાલ થયા છે. ગીર ગઢડાના ખાપર ગામે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખાપર ગામના જયાં હજુ સુધી ખેતરોમાં પાણી ઓસર્યા નથી. ભારે વરસાદના પગલે ખેડૂતોનો તમામ પાક ધોવાઈ ગયો હતો. અને ખેડૂતોનો હજારો હેક્ટરનો પાક નિષ્ફળ ગયો હતો. કપાસ અને મગફળીના પાકને મોટુ નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.