ગીર સોમનાથના વેરાવળમાં શુક્રવારે સ્વાગત ડાઈનીંગ હોલના સાઈન બોર્ડનું રિપેરિંગ કરવા માટે હોટલના 3 કર્મચારીઓએ બોર્ડ નીચે ઉતાર્યું હતું. બાદમાં ત્રણેય કર્મચારીઓ બોર્ડને છત પર ચડાવી રહ્યા હતા. આ દરમિયાન બોર્ડ નજીકથી પસાર થતા 11 કેવી વીજવાયરને અડી જતા ત્રણેય કર્મચારીને ભયંકર વીજશોક લાગ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણેય કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ ઘટનાની જાણ થતા વીજ વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો આ ઘટનાને લઇને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી, લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે સવાલ થાય છે કે, આ ઘટના માટે જવાબદાર કોણ? કોની બેદરકારીએ ત્રણ લોકોનો જીવ લીધો? ભવિષ્યમાં હજુ આવી ઘટના બને તો કોણ જવાબદાર?