ગીર-સોમનાથ: કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથમાં રાતે 12 વાગે અદભૂત નજારો જોવા મળતો હોય છે. કાર્તિકી પૂર્ણિમાની રાતે ચંદ્ર સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લાઈનમાં જોવા મળતા હોય છે. આ સાથે જ દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે આ સંયોગ થતો હોય છે.
આ સંયોગને જોવા માટે રાજ્યભરમાંથી લોકો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. ત્યારે કાર્તિકી પૂર્ણિમાની ગત મધ્યરાત્રીએ 12 વાગ્યે સોમનાથ દાદાની મહાઆરતીનો લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લીધો હતો.
આપને જણાવી દઇએ કે સોમનાથ ખાતે યોજાયેલા પાંચ દિવસીય લોકમેળો ગત મોડી રાતે મહાઆરતી બાદ પૂર્ણ થયેલ. સોમનાથ દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડેલ. તમામ ભક્તોએ પરિક્રમા પૂર્ણ કરીને દેવાધિદેવ મહાદેવને શિશ નમાવી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતું. આ સાથે જ ગત રાત્રે ૧૨ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી મહાપૂજા ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દરવર્ષે આ પ્રકારે લોકમેળાનું આયોજન સ્થાનિક નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ સાથે જ રાત્રે ૧૨ વાગ્યે ચંદ્રમાં શિખર ઉપર આવતા અલૌકીક દ્રશ્ય પણ સર્જાય છે જેને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહે છે.