ખેડૂતોને એક ટન શેરડીના 1800 થી 1900 રૂપિયા મળતા હતાં જે વધીને 2300 રૂપિયા આપવાનું નક્કી કર્યું
શેરડી ખરીદીના ભાવમાં કરાયો વધારો
ગીર સોમનાથ રાબડા એસો. ને લીધો નિર્ણય
400 રૂ. વધુ મળતા ખેડૂતોમાં ખુશી
ગીર સોમનાથ રાબડા એસોસિએશને ખેડૂતોની શેરડીની ખરીદીના ભાવમાં વધારો કર્યો છે. ગીરનાં શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. શેરડી પકવતા ખેડૂતોને હવે શેરડીના ભાવ એક ટનનાં 2200 થી 2300 રૂપિયા મળશે. હમણાં સુધી ખેડૂતોને શેરડીના ભાવ એક ટનનાં 1800 થી 1900 રૂપિયા મળતા હતાં. ખેડૂતોને એક ટન શેરડીએ મળશે 400 રૂપિયા વધુ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગીર સોમનાથ જિલ્લા રાબડા એસોસિએશનેની બેઠક પ્રાચી ખાતે મળી હતી. જેમાં ગીરમાં ચાલતા 250 જેટલા રાબડા માલિકો એકઠા થયા હતા. હાલમાં ગોળનાં ભાવ સ્થિર ચાલી રહ્યા હોય શેરડી ખરીદી માટે ખેડૂતોને થોડો વધુ ભાવ આપવાનું સર્વાનુમતે ઠરાવાયું હતું. જેને આવકાર મળી રહ્યો છે.
શેરડી 14 મહિને પાકે છે, વિશેષ મહેનત, સમય અને ખાતરનો ખર્ચો વધુ
ગીર સોમનાથ રાબડા એસોસિએશને શેરડીમાં 400 રૂપિયા જેવો ભાવ વધારો કરી ખેડૂતોને એક ટન શેરડીની કિંમત 2300 રૂપિયા આપવાનું નક્કી કરતા ખેડૂતોમાં થોડી ખુશીની ચમક જોવા મળી રહી છે. પણ ખેડૂતોની માંગ છે કે, અમારી એક ટન શેરડીનો ભાવ અમને 2500 થી 2700 રૂપિયા મળે તો યોગ્ય ગણાય. એક વિઘા જમીનમાંથી 20 થી 25 ટન શેરડીનું ઉત્પાદન થાય છે. શેરડીએ 14 મહિને પાકે છે. આખા વર્ષ ઉપરાંત 2 મહિના વધુ શેરડીનો પાકતા લાગે છે. આથી વિશેષ મહેનત, સમય અને ખાતર લાગે છે. આથી ખેડૂતોને એક વિઘા શેરડી ઉત્પાદિત કરવામાં 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ આવી જાય સામે નજીવું વળતર મળે છે. જો શેરડીનો થોડો ભાવ વધુ મળે તો ખેડૂતોને બચત થાય.
સામે ખેડૂતો એ પણ સ્વીકારે છે કે, ગોળ ઉત્પાદકોએ જે નજીવો ભાવ વધારો કર્યો તે પણ આવકાર્ય જ છે. સામે રાબડા એસોસિએશનનું કહેવું છે કે, જો અમોને ગોળનો ભાવ હજુ વધુ મળશે તો અમે હજુ પણ શેરડી ખરીદીમાં ખેડૂતોને વધુ ભાવ આપીશું.