સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી મુજબ સત્તત વરસાદ થઇ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સતત ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. કોડીનારમાં 5 ઈંચ, તાલાળામાં અઢી ઈંચ, સૂત્રાપાડામાં અઢી ઈંચ, વેરાવળમાં 2 ઈંચ અને ઉનામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગઈ કાલ સાંજથી મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર જળબંબાકાર થયો છે. ખાસ કરીને તાલાલા કોડીનાર અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા તાલાલાની સરસ્વતી નદી અને કોડીનારની શિંગોડા નદી છલકાઇ છે. ફરી એક વખત તાલાલા-પ્રાચી, તાલાલા-વેરાવળ સહિતનાં રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ્પ થયો. તાલાલાનાં વાડલા ગામે કાર સાથે એક વ્યક્તિ તણાયો છે તો ખેડૂતોનાં ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ગીર જંગલના ઉપરવાસમાં મુશળધાર વરસાદનાં કારણે કોડીનારનો શીંગાડો ડેમ,ઉનાનો રાવલ અને મચ્છુન્દ્રી, તાલાલાનો હિરણ 2 અને સાસણનો કમલેશ્વર ડેમ ઓવર ફ્લો થયા છે. શિંગોડા ડેમના દરવાજા ખોલતા અને ગીરમાં વધુ વરસાદના કારણે કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યા છે. જેના કારણે કોડીનાર વેરાવળને જોડતા બ્રિજ પર મોટા પ્રમાણમા પાણી ફરી વળ્યું છે અને વાહન વ્યવહાર ઠપ થયો છે. વેરાવળના મેઘપુર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે. કપિલા અને અન્ય એક નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પુર આવતા ગામમાં જવા માટેનો સંપર્ક કપાય ગયો છે.
પ્રાચીતીર્થનું સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ
તાલાલાના ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકતા સરસ્વતી નદી ગાંડીતુર બની છે. જેના કારણે વધુ એક વખત સુત્રાપાડાનાં પ્રાચીતીર્થનું સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ગીર ગઢડા અને કોડીનારનાં જામવાળા ગીર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા શિંગોડા ડેમ ઓવર ફ્લો થયો છે. જેના 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે. તો તાલાલાની સરસ્વતી નદી અને સોમેત નદીમાં ઘોડાપુર આવ્યા છે.
દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો
ગીર સોમનાથમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા જિલ્લાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા જલજીલના મહોત્સવનો ડોમ તણાયો છે. ગુરૂકુલ દ્વારા મહોત્સવ માટે ડોમ બનાવવામાં આવ્યો હતો. સોમવારે ગુરૂકુલનો કાર્યક્રમ યોજાવવાનો છે. કાર્યક્રમ થાય તે પહેલા જ ડોમ તણાયો છે.
ગીર સોમનાથના 5 ડેમો છલોછલ
સમગ્ર ગીર સોમનાથ જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ગીર સોમનાથનાં કુલ મુખ્ય 5 ડેમો પૂર્ણ સપાટીએ ભરાઈ ગયા છે. જેમાં હિરણ-૧,૨, શિંગોડા ડેમ, રાવલ ડેમ, મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો થયા છે. ગીરની નદીઓ ગાંડીતુર બની છે. જમજીરનો ધોધ અફાટ બન્યો છે.