ધારાસભ્ય પૂજા વંશ અને માજી ધારાસભ્ય કે સી રાઠોડ નવા બંદર પહોંકહ્યા હતા, પૂંજા વંશે માછીમારોને ટોકન આપી દરિયામાં જવા કેમ દીધા તે અંગે તંત્રને સવાલ કર્યો હતો
સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગઈકાલે મોડી રાતથી જ દિવમાં વરસાદ પડી રહ્યો છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઉનાના નવાબંદરમા 10 બોટ અને 8 ખલાસી ડૂબ્યા હતા. જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ હેલિકોપ્ટર અને પ્લેન દ્વારા લાપતા માછીમારોની શોધખોળ હાથ ધરાઇ હતી. માછીમારોને સાઈકલોનની જાણ કેમ ન કરવામાં આવી તે મોટો સવાલ છે.
કુલ 12 માછીમારો દરિયામાં ડૂબ્યા જેમાંથી 4 માછીમારો જાતે જ તરી કાઢે પહોંચ્યા
તાઉતે બાદ નવાબંદર ના માછીમારો માટે બીજી મોટી આફત આવી છે. ગત રાત્રે નવાબંદર નો દરિયો તોફાની બન્યો હતો. અને જોરદાર પવન અને દરિયામાં કરન્ટ હોવાના કારણે ઉંચા મોજા ઉછલયા હતા જેના કારણે એક બે નહિ પણ 10 બોટો દરિયા માજ ભાંગી ને ભુક્કો થઈ હતી જેમાં સવાર કુલ 12 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા. જોકે 4 માછીમારો જાતેજ અન્ય માછીમારો ની મદદ થી બહાર હેમખેમ આવ્યા હતા. જો કે 8 માછીમારો હજુ લાપતા બન્યા છે.
અમે 6 લોકો દરિયામાં કુદ્યા હતા: માછીમાર
જે માછીમાર જીવ બચાવી ને બહાર આવ્યા તેમને પોતાની આપ વીતી જણાવી હતી. રમેશ રાઠોડ નામના માછીમારે ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે બોટમાં હતા ત્યારે અચાનક જ જોરથી પવન ફુંકાયો હતો જે બાદ અમે ગભરાઈ ગયા હતા. અધવચ્ચે જ દરિયામાં ઉંચા મોજા ઉછળવા મંડ્યા હતા. જેથી બોટને પાણીનો માર પડતાં બોટ તૂટી ગઈ હતી અને જલસમાધિ લઈ લીધી હતી. જેથી અમે 6 લોકો દરિયામાં કુદ્યા હતા જેમાંથી 4 લોકો કાંઠે પહોંચ્યા. અમારી સાથેના 2 માછીમાર ગુમ થયા છે તેમની શોધખોળ ચાલુ છે.
કઇ કઇ બોટ ડૂબી
ગોવરી નંદન
ધન્વંતરિ
શિવપ્રિયા
હરિપ્રસાદ
અલ ફેઝાન
કૈલાસ સાગર
વરુ પ્રસાદ
હરિ પ્રસાદ
અલકબીર
સૂર્યવંશી
5 બોટોનો ભુક્કો થયો
વહેલી સવારથી કોસ્ટ ગાર્ડ નું હેલિકોપટર અને નેવીનું પ્લેન સહિત નવાબંદર પોલિસ અને સ્થાનિક માછીમારો દ્વારા 8 માછીમારો અને 10 બોટો ને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ સવારે પણ ભારે પવન અને દરિયામાં કરન્ટ હોવાના કારણે લાપતા માછીમારો ને શોધવા મુશ્કેલ બન્યા હતા. જ્યારે 5 બોટોનો ભુક્કો થયેલી મળી આવી હતી. અને હજુ પણ 5 બોટ અને 8 માછીમાર લાપતા છે. ત્યારે ગીર સોમનાથ કલેકટર આર જી ગોહિલ નવાબંદર ની મુલાકાત લીધી અને પોલીસ તેમજ તંત્ર ને તૈનાત રહવા તેમજ NDRFની એક ટિમ ની પણ મદદ લેવાઈ છે.
કયા માછીમાર લાપતા છે.?
સાગર જીતુ રાઠોડ
મોહન કાળું સોલંકી
ભીમા ભીખા ચૌહાણ
નરસિંહ જીવા ચૌહાણ
જગદીશ દેવચંદ મકવાણા
કલ્પેશ રાણા સોલંકી
રામુદેવા બાંભણીયા
સોહિલ રહેમાન શેખ
માછીમારોને ટોકન આપી દરિયામાં જવા કેમ દીધા: ધારાસભ્ય પૂજા વંશ
જોકે નવાબંદર ની સાથે ઉનાના સૈયદ રાજપરા ગામે પણ દરિયામાં બે બોટો ડૂબી હતી. જેમના 7 માછીમારો ને અન્ય બોટો એ પરત નવાબંદર દરિયા કાંઠે બહાર લાવવા માં આવ્યા હતા. જોકે આ ઘટના ને લઈ ઉના ના ધારાસભ્ય પૂજા વંશ અને માજી ધારાસભ્ય કેસી રાઠોડ પણ નવાબંદર પહોંચ્યા હતા. ધારાસભ્ય પૂજા વંશે સવાલો ઉઠાવ્યા છે કે વાવાઝોડું હતું તો કેમ ફિશિરીજ વિભાગે રાત્રે માછીમારોને ટોકન આપી દરિયામાં જવા દીધા. જ્યારે માજી ધારાસભ્ય કેસી રાઠોડે સરકાર પાસે માછીમારો ને નુક્શાન મામલે સહાયની માંગ કરી છે.