ગીરના દલખાણીયામાં 32 સિંહના મોત બાદ હવે સાસણ ગીરમાં સિંહ દર્શન મોડું થવાની સંભાવના છે. 16 તારીખથી સિંહ દર્શન શરૂ થવાનું હતું. જોકે હાલમાં સિંહ દર્શન માટે વેકેશન ચાલી છે. આ વેકેશનને 1 મહિના સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી વનરાજનું વેકેશન રહે છે. જો કે પ્રવાસીઓ માટે દેવળીયા પાર્ક ચાલુ રહેતો હોય છે. પરંતુ 16 ઓક્ટોબર નજીક છે તે પહેલા જ મોટી સંખ્યામાં સિંહના મોત થતાં મામલો ગરમાયો છે. જેના પગલે આગામી 16 તારીખથી શરૂ થનાર સિંહ દર્શન થોડો સમય મોડા શરૂ થાય તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.
આપને જણાવી દઇએ કે ચોમાસાની સીઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડતું હોય છે. ચાર માસના વેકેશન દરમ્યાન સિંહ દર્શન કરાવતી જીપ્સીઓના તમામ રૂટ બંધ કરવામાં આવે છે.
વળી ચોમાસાની સીઝન દરમ્યાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે જેથી વાહનો લઈને અવર જવર કરવી શક્ય નથી. ત્યારે છેલ્લા થોડા સમયથી થઇ રહેલા સિંહના મોતને કારણે સિંહ દર્શન મોડા શરૂ થવાની સંભાવના છે.