ગીર પંથકમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરી પધરામણી કરી હતી. ગઈ કાલે બે કલાક વરસેલા વરસાદે સમગ્ર પંથકને તરબોળ કર્યું હતું. ખાસ કરીને ગીર ગઢડા કોડીનાર અને સુતરાપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉના તાલાલા અને વેરાવળમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથના પ્રાચી ખાતે આવેલું પ્રસિદ્ધ માધવરાઈ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. પ્રાચીના માધવરાઈ મંદિરમાં વરસાદી પાણી ઘૂસતા ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ ડૂબી ગઈ હતી. ભગવાન કૃષ્ણની મૂર્તિ પર 10 ફૂટ ઉપર પાણી વહેતું જોવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે સરસ્વતી નદીમાં વરસાદી પાણીની આવક થતાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે આ પાણી મંદિરમાં ઘૂસ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી આ પાણી ઉતરશે નહીં ત્યાં સુધી લોકોને ભગવાનના દર્શન કરવા મળશે નહીં. વરસાદી સિઝનમાં ત્રણેક મહિના સુધી આ મંદિર બંધ રહેતુ હોવાનું પણ લોકોનું કહેવું છે.
ગઈ કાલે માત્ર આઠ કલાકમાં સુત્રાપાડામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો તો કોડીનારમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગીર ગઢડામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુત્રાપાડા અને કોડીનારમાં રાત્રે ધોધમાર વરસાદ પડતા ગામ અને શહેરમાં પાણી ફરી વળ્યા હતા. ગામડાની શેરીઓ વરસાદી પાણીથી તરબોળ થઈ હતી. તો શહેરના માર્ગો પર પણ પાણી ફરી વળ્યું.