ગીર સોમનાથઃ સિંહોના મોત મામલે રાજ્ય સરકારની સાથે વન વિભાગ પણ સતર્ક બન્યું છે. સિંહોને રસી આપવા માટે વનવિભાગના અધિકારીઓની ટીમ જામવાળા પહોંચી છે. જામવાળા એનિમલ કેર સેન્ટરમાં સિંહોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સિંહોના એકાએક મોતને લઈને જામવાળા એનિમલ કેસ સેન્ટરમાં 31 સિંહોને રખવામાં આવ્યા છે આ તમામ સિંહોને અમેરિકાથી મંગાવેલી વેક્સિન આપવામાં આવશે. સાથે ગીરના દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોત બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બિમારી ન ફેલાય તે માટે 30 સિંહોનુ મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
1 સિંહમાં ઇન્ફેક્શન જોવા મળશે તો આખા ગ્રુપને અપાશે વેક્સીન
સિંહોના એક બાદ એક થઈ રહેલા મોતને ધ્યાનમાં રાખીને હવે સિંહોના ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યા બાદ સિંહોને વેક્સીન આપવામાં આવશે. અનુભવી ડોક્ટરોના અભિપ્રાય બાદ સિંહોને આ વેક્સીન આપવામાં આવશે. મહત્વનું છે કે 1 સિંહમાં જો ઇન્ફેક્શન જોવા મળશે તો આખા ગ્રુપને આ વેક્સીન આપવામાં આવશે. આમ રસી એકવાર આપ્યા બાદ પહેલા 21 દિવસે અને પછી 42માં દિવસે આપવામાં આવશે.
100 ગામમાં પશુઓને રસીકરણ કરવાની જાહેરાત
સિંહોના એક બાદ એક થઈ રહેલા મોત બાદ રાજ્ય સરકારે 100 ગામમાં પશુઓને રસીકરણ કરવાની જાહેરાત કરી હતી. જોકે સ્થાનિક માલધારીઓ સહિત ગ્રામજનોનો આરોપ છે કે સરકારી તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પણ પગલા ભરવામાં નથી આવ્યા. મીતીયાળા અભ્યારણના ગામો આસપાસ કોઇ અધિકારી ફર્કયા ન હોવાનો આરોપ સ્થાનિક કરી રહ્યા છે.