સાવજ વિશેષતમ ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે જે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાની સરહદમાં આવેલું છે. જો કે સરકારના સતત પ્રયત્નોના પગલે સિંહોની વસ્તી મક્કમ ગતિએ વધી રહી છે. વનરાજ પોતાના રહેઠાણના વિસ્તાર વધારી રહ્યા છે એવા સમયે હાલ તે રાજકોટ જિલ્લાની હદમાં પહોંચી ગયા છે.
ગીરના સિંહો એ ગુજરાત ની શાન છે , ગીરનું જંગલ સિંહોને ટૂંકું પડી રહ્યું છે ગીર ઉપરાંત આસપાસ ના જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહો જોવા મળી રહ્યા છે. અમરેલી , જૂનાગઢ , ભાવનગર , ગીર સોમનાથ જિલ્લાના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં તો સિંહોનો છેલ્લા ઘણા વર્ષોથી મુકામ જોવા મળે છે,પણ હવે છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લામાં જસદણ અને વિંછીયા તાલુકાની હદમાં સિંહોના આંટાફેરા અને મારણ ની ઘટનાઓ વધી રહી હોવાથી સ્થાનિક લોકોમાં ફફડાટ વધી ગયો છે.
વન વિભાગની વર્ષ 2015 ની છેલ્લી ગણતરી મુજબ 523 સિંહો નો ગીર અને આસપાસ ના જિલ્લામાં વસવાટ છે, સિંહોને સૌરાષ્ટ્ર નો આ વિસ્તાર ખુબ અનુકૂળ આવી ગયો હોય સિંહો ની સંખ્યા સતત વધી રહી છે. હાલ 600 જેટલા એશિયાટિક સિંહો ની સંખ્યા ગીર ના જંગલ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મળીને હોવાનો સરકાર નો અંદાજ છે.
અમરેલી જિલ્લા બાબરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા સિંહોના સગડ મળ્યા હતા, ખેડૂતો વાડીએ જતા ફફડે છે આ અંગે ધારાસભ્ય વીરજી ઠુમ્મરે વનવિભાગ ને રજૂઆત કરી છે, આ રજૂઆત કર્યાના બે દિવસ બાદ જસદણ અને વિંછીયા વિસ્તાર માં સિંહો ના સગડ જોવા મળ્યા છે , આ વિસ્તાર રાજકોટથી માત્ર 70 કિમિ જ દૂર છે, જસદણ તાલુકાના આંબરડી ગામની વાડીમાં સિંહે મારણ કર્યું હતું, ગામના સ્થાનિક લોકોમાં ફફડાટ છે બીજી તરફ વન વિભાગે સિંહો ને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે