રાજ્યમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે, એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર પહોંચ્યો છે ત્યારે જૂનાગઢના સાસણ ગીર સ્થિત લાયન સફારી અને દેવળીયા પાર્ક પ્રવાસીઓ માટે અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ગીરની લાયન સફારી અને દેવળીયા પાર્ક બંધ
કોરોના વાયરસના કારણે લેવાયો નિર્ણય
પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી બંધ
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વધતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રવાસીઓ માટે આ જાણીતું પ્રવાસન સ્થળ બંધ કરવામાં આવ્યું છે.
સરકારની ગાઇડલાઇનને પગલે લેવાયો નિર્ણય
જણાવી દઇએ કે, મહામારીની સ્થિતિને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને પગલે વાઇલ્ડ લાઇફ બોર્ડેઆદેશ આપ્યો છે કે, જ્યાં સુધી નવી કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્ક અને અભ્યારણો બંધ રાખવામાં આવે.
લાયન સફારી બંધ કરાઇ
આ આ દેશને પગલે જૂનાગઢ સ્થિત લાયન સફારી, દેવળિયા પાર્ક, સક્કરબાગ ઝૂ, ધારીનું આંબરડી પાર્ક તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં કેસ ઘટ્યા
અમદાવાદમાં 4980 કેસ નોંધાયા છે, મહત્વનું છે કે અહીં અગાઉના સમય કરતાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો સાથે જ રાજ્યના અન્ય મહાનગરો જેમ કે સુરતમાં આજે 1795, રાજકોટમાં 605 અને વડોદરામાં 547 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 21, વડોદરામાં 11, રાજકોટમાં 10 અને સુરતમાં 18 ના મોત નોંધાયા છે.
રાજ્યમાં પહેલી વાર 18+ 55,235 લોકોનું રસીકરણ
મહત્વનું છે કે આજથી 18+ લોકોનું પ્રથમ વાર રસીકરણ રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં 55,235 લોકો જે 18 થી 44 ની વયના છે ને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય કુલ 2,17,093 લોકોને રસી અપાઈ છે, અને રાજ્યમાં કુલ 4,29,130 લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયા છે, રિકવરી રેટ હાલમાં 73.78 ટકા છે, સાથે જ 1,42,139 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 637 લોકો વેન્ટિલેટર પર છે, અને 1,44,502 દર્દીઓની હાલત સ્થિર છે. કુલ મોતનો આંકડો 7355 થઈ ગયો છે.