દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વમાં અમદાવાદની મહિલાઓને મળશે ભેટ, એએમટીએસ દ્વારા બસ ભાડામાં કરવામાં આવ્યો ઘટાડો
રક્ષાબંધન પર્વ નિમિત્તિ મહિલાઓને ગિફ્ટ
AMTS દ્વારા ભાડામાં કરવામાં આવ્યો ઘટાડો
રક્ષાબંધનના દિવસે મહિલા-બાળકોના ભાડામાં ઘટાડો
પાછલાં કેટલાંક વર્ષોથી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સૌગાત લઈને આવનાર રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો તેમના ભાઇના ઘરે જઈને રક્ષાનું સૂત્ર બાંધીને મંગળ આશિષ આપી શકે તેવા આશયથી એએમટીએસ બસની મનપસંદ ટિકિટના ભાડામાં ધરખમ ઘટાડો કરવામાં આવે છે. આ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે એએમટીએસમાં મહિલાઓ રૂ. દસમાં એએમટીએસ શરૂ થાય ત્યારથી એએમટીએસ બંધ થાય ત્યાં સુધી મુસાફરી કરી શકશે.
રક્ષાબંઘન પર્વ પર AMTSમાં ભાડા પર 50ટકાની છૂટ
એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, ''પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા મુસાફરોને મનપસંદ ટિકિટમાં 50 ટકાની છૂટ અપાશે.'' તંત્ર દ્વારા ગત તા.3 ઓગસ્ટે આને લગતો ખાસ પરિપત્ર બહાર પડાયો છે, જે અંતર્ગત તા. 11 ઓગસ્ટ, ગુરુવારે રક્ષાબંધન હોઈ ફક્ત આ તહેવાર પૂરતું મહિલાઓ માટે રૂ. દસની મનપસંદ ટિકિટ રખાશે, જેમાં મહિલાઓ પ્રથમ પાળીથી રાતની બીજી પાળી પૂરી થવાના સમય સુધી રૂ. દસમાં મુસાફરી કરી શકશે, જ્યારે બાળકો માટે ફક્ત રક્ષાબંધન પૂરતું મનપસંદ ટિકિટનું ભાડું રૂ. પાંચ રખાયું છે.
સવારથી રાત સુધી ભાડામાં ઘટાડાનો લાભ
સામાન્ય દિવસોમાં સ્ત્રી-પુરુષો માટે સવારથી મનપસંદ ટિકિટનું ભાડું રૂ. 35 છે, જ્યારે સવારના 11 વાગ્યાથી મહિલાઓ રૂ. 20 અને બાળકો રૂ. દસમાં મનપસંદ ટિકિટ મેળવી શકે છે, પરંતુ રક્ષાબંધન પર્વ નિમિત્તે ખાસ કિસ્સામાં સવારના પાંચથી રાતના 11 કે બસ સેવા બંધ થાય ત્યાં સુધી મહિલાઓ રૂ. દસ અને બાળકોને રૂ. પાંચમાં મનપસંદ ટિકિટનો લાભ અપાશે. તંત્રના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર (જનરલ)ના ખાસ પરિપત્રની જાણકારી તમામ કંડક્ટરોને આપવાની સૂચના ટર્મિનસના ઇન્ચાર્જ તેમજ વિજિલન્સ ખાતાને અપાઈ ગઈ છે.
2019-20માં 16.92 લાખનો વકરો કર્યો
દરમિયાન ગત નાણાકીય વર્ષ 2018-19થી વર્ષ 2021-22 એમ ચાર વર્ષ દરમિયાન રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા પેસેન્જરની સંખ્યા, રોડ પર મુકાયેલી બસ, મહિલા પેસેન્જરથી થયેલી આવક વગેરે બાબતોને તપાસતા કોરોના કાળ પહેલાંનું વર્ષ 2018-19નું તંત્ર માટે ઉલ્લેખનીય રહ્યું હતું. તે વર્ષે તંત્રે રોડ પર 536 બસ મૂકી હતી અને 7976 મહિલાઓએ રૂ. પાંચની ટિકિટ, 34908 મહિલાઓએ રૂ. દસની ટિકિટ, 6598એ રૂ. 35ની ટિકિટ લેતા રક્ષાબંધને કુલ રૂ. 16.92 લાખની આવક થઈ હતી, જે છેલ્લાં ચાર વર્ષનો વિક્રમ છે. ઉપરાંત તે વર્ષે વિક્રમજનક 4.92 લાખ મહિલા-બાળકોએ એએમટીએસની મુસાફરી કરી હતી.
2019-20માં 16.85 લાખનો વકરો કર્યો
ત્યાર પછીનાં નાણાકીય વર્ષ 2019-20માં પણ 36644 મહિલાઓએ તંત્રની આ ખાસ યોજનાનો લાભ લીધો હતો, જ્યારે 7722 બાળકોએ રૂ. પાંચની ટિકિટમાં મુસાફરી કરી હતી. એએમટીએસના સત્તાવાળાઓએ વર્ષ 2019-20 માં છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ 653 બસ રોડ પર દોડાવીને કુલ રૂ. 16.85 લાખનો વકરો કર્યો હતો, જ્યારે કુલ 4.91 મહિલા-બાળકોએ મુસાફરી કરી હતી. જોકે ત્યાર પછીનાં છેલ્લાં ચાર વર્ષથી બસભાડામાં ધરખમ ઘટાડો કરાયો છે.
ગત વર્ષે 2.90લાખની થઇ હતી આવક
કોરોના મહામારીના કારણે વર્ષ 2020-21નું રક્ષાબંધન પર્વ ભારે ફિક્કું બન્યું હતું, તે વર્ષે તંત્રે રોડ પર માત્ર ૩૫૨ બસ મૂકી હતી અને માત્ર 1063 બાળકો અને 5178 મહિલાઓએ ક્રમશઃ રૂ. પાંચ અને રૂ. દસની ટિકિટનો લાભ લીધો હતો. વર્ષ 2020-21 ના રક્ષાબંધને ફક્ત ૪૨ હજાર મહિલા-બાળકોએ મુસાફરી કરતા તંત્રને રૂ. 2.90 લાખની આવક થઈ હતી.જ્યારે ગત નાણાકીય વર્ષ 2021-22ની 22 ઓગસ્ટે આવેલા રક્ષાબંધને કોરોના ઓછો છતાં તંત્રે ૫૫૮ બસ રોડ પર મૂકતાં ૪૧૯૮ બાળકો અને ૨૦,૪૦૨ મહિલાઓએ તેનો લાભ લીધો હતો. તે દિવસે કુલ રૂ. ૨.૬૯ લાખ મહિલાઓથી તંત્રને રૂ. ૧૦.૯૫ લાખનો વકરો થયો હતો તેમ ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે.