બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:06 AM, 25 April 2025
રાજ્યમાં ૮૯,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જેમાં જિલ્લા દૂધ સંઘોથી લઈને જિલ્લા બેંકો જેવી મોટી મોટી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. આની સાથે કરોડો સભાસદો જોડાયેલા છે, ત્યારે સહકાર વિભાગ દ્વારા સહકારી મંડળીઓના વિકાસની સાથે સાથે વહીવટમાં પારદર્શિતા લાવવા માટે મહત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વારા એકબાજુ ભેટની મર્યાદામાં વધારો કર્યો તો બીજી બાજુ સહકારી મંડળીઓમાં થતી મોંઘા વાહનોની ખરીદી પણ રોક લગાવવામાં આવી છે. મંડળીઓને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરીને, નિશ્ચિત મોડેલ વાળા વાહનોથી મોંઘા વાહનો ન ખરીદવા જણાવાયું છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો કરવામાં આવ્યો છે.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક પ્રકારની સહકારી મંડળીઓ કે જેઓ દર વર્ષે રૂા. ૭૫૦ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકતા હતા તે હવે રૂા.૧૨૫૦ સુધીની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે.તાલુકા કક્ષાની મંડળીઓ રૂા. ૧૦૦૦ને બદલે રૂા.૨૫૦૦, જિલ્લા કક્ષાની મંડળીઓ રૂા. ૩૦૦૦ના બદલે રૂા.૫૦૦૦ અને રાજ્યકક્ષાની મંડળીઓ રૂા. ૬૦૦૦ના બદલે રૂા. ૧૦,૦૦૦ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે. આમ સભાસદોને વધુ સારી ભેટ મળતા તેઓ મંડળી સાથે જોડાવા પ્રોત્સાહિત થશે જેથી સહકારી મંડળીઓનો વધુ સારો વિકાસ થશે. રાજ્ય સરકારે મંડળીઓને આપવામાં આવતી ભેટની ખરીદી પણ ઈટેન્ડરિંગ પદ્ધતિથી ખરીદવા જણાવ્યું છે, આનાથી આવી ભેટની ખરીદી સમયે થતી અનિયમિતતા પણ અટકશે.
ADVERTISEMENT
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં પ્રથમવાર સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે ત્યારે સહકારી ક્ષેત્રમાં અગ્રેસર એવા ગુજરાતમાં પણ સહકારી મંડળીઓ સંબંધીત વહીવટમાં સુધારાઓ માટે સતત નિર્ણયો સહકાર વિભાગ લઈ રહ્યો છે. જેના ભાગરૂપે સહકારી મંડળીઓમાં થતી બિનજરૂરી મોંઘા વાહનોની ખરીદીની મર્યાદા નક્કી કરીને રાજ્ય સરકારે વધુ એક વખત સભાસદોના લાભ માટે સહકારી મંડળીઓનો વહીવટ વધુ પારદર્શક કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ પત્રિકા વાયરલ, ભાજપ સાથે મળેલા હોવાનો આક્ષેપ
મંત્રીએ કહ્યું હતું કે, આ ઉપરાંત સહકારી મંડળીઓના સભાસદ માટે અગાઉ પણ રાજ્ય સરકારે ડિવિડન્ડની મર્યાદા ૧૫% થી વધારીને ૨૦% સુધી કરી છે જેનો લાભ કરોડો સભાસદોને થયો છે ત્યારે સભાસદ ભેટ મર્યાદામાં પણ વધારો થવાથી કરોડો સભાસદો આનાથી લાભાન્વિત થવાના છે. સહકારી મંડળીઓમાં વાહનોની જરૂરિયાત રહે છે પરંતુ હોદ્દેદારો દ્વારા મંડળીઓમાં જરૂરી ન હોવા છતાં પણ મોંઘા વાહનોની ખરીદી કરવામાં આવતી હતી જે મંડળીના ફંડનો વ્યવસ્થિત વપરાશ નક્કી કરતો ન હતો જેથી રાજ્ય સહકારી કાઉન્સિલમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય અનુસાર વાહનોની ખરીદી માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.