કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પ્રધાનમંત્રી પદના ત્યાગને લઈને આપેલા નિવેદનના એક જ દિવસ બાદ જ ગુંલાટ મારી દીધી છે. બીજા જ દિવસે આઝાદે કહ્યું કે, કોંગ્રેસ પ્રધાનમંત્રી પદ માટે દાવેદારી જતી નહીં કરે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ દેશની સૌથી જુની રાજકીય પાર્ટી છે. જો પાંચ વર્ષ સરકાર ચલાવવી હોય તો સૌથી મોટી પાર્ટી હોવાના નાતે મોકો મળવો જોઈએ.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ગઈકાલે પ્રધાનમંત્રી પદ જતું કરવાનું નિવેદન આપ્યું હતું. જો કે આજે તેમણે પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું લક્ષ્ય કોઈ પણ ભોગે એનડીએની સરકાર બનતા રોકવાનું છે. આ માટે જો કોંગ્રેસને ગઠબંધનમાં પ્રધાનમંત્રી પદ ન મળે તો પણ તેને કોઈ જ સમસ્યા નથી. કોંગ્રેસ પાર્ટીનો એક માત્ર હેતુ એનડીએને કેન્દ્રમાં ફરીથી સરકાર બનતા રોકવાનો છે.
જોકે આ નિવેદનના બીજા જ દિવસે ગુલામ નબી આઝાદે પલટી મારી દીધી હતી. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, કોંગ્રેસ પ્રધાનમંત્રી પદની દાવેદારીને લઈને ઈચ્છુક નથી કે પછી કોંગ્રેસ પ્રધાનમંત્રી પદ પર દાવો રજુ નહીં કરે, આ વાત સાચી નથી. જાહેર છે કે, કોંગ્રેસ જ દેશની સૌથી મોટી અને જુની રાજકીય પાર્ટી છે. તો પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હોય તો આ તક સૌથી મોટી રાજકીય પાર્ટીને જ મળવી જોઈએ.
આમ ગુલામ નબી આઝાદના આજના નિવેદન પરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંત્રી પદને લઈને કોંગ્રેસ કોઈ જ ત્યાગ કરવાના મુડમાં નથી.