ભાવનગરના ઘોઘા દહેજ વચ્ચે શરૂ થયેલી રોરો ફેરી સર્વિસ સપ્ટેમ્બર સુધી ફરી એકવાર બંધ થઈ છે. સરકારે ઉતાવળમાં 22 ઓક્ટોબર 2017ના રોજ આ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. આ મામલે GMBએ દરિયાઈ હવામાન ખરાબ હોવાનું કારણ આપ્યું છે. આ રો-રો ફેરી શરૂ કરવા માટે 25 જાન્યુઆરી 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ખાત મૂહૂર્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અનેક વખત હવામાનનું બહાનું કાઢીને ફેરી સર્વિસ સમયાંતરે 12 દિવસ માટે બંધ કરવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં GMBએ રો-રો ફેરી સર્વિસના સંચાલકોને નોટિસ પાઠવી આ સર્વિસ બંધ કરવા જણાવ્યું છે.
તો તાજેતરમાં ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગર દહેજ વચ્ચે રો પેક્સ સર્વિસ શરૂ થતી હોવાને કારણે આ ફેરી બંધ કરવામાં આવી છે અને સપ્ટેમ્બરમાં આ ફેરી શરૂ થશે એમ જણાવ્યું હતું. આ મામલે એવું પણ જાણવા મળ્યું છે કે ખંભાતના અખાતનો દરિયો અત્યંત કરંટ વાળો હોવાથી અને હાલ દરિયો તોફાની હોવાથી આ સેવા બંધ કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે આમ તો ૨૦૧૨ માં ખાત મહુર્ત થયું ત્યારે આ કામ ૧૫ માસમાં એસર કંપની પૂરું કરશે તેમ જણાવ્યું હતું પરંતુ અનેક વિધ્ન વચ્ચે આ કામ ૫ વર્ષે પૂરું થયું હતું. માત્ર ૨૦૧૮ વિધાનસભાની ચુંટણીને ધ્યાને રાખી સરકારે ૨૦૧૭ માં ઓક્ટોબરમાં અપૂરતા સાધનો અને અપૂરતી સુવિધાની વચ્ચે રો-રો પેસેન્જર સેવા શરુ કરાવી દીધી હતી.