ભાવનગર રો-રો ફેરીને લઇ મહત્વના સમાચાર આવ્યા છે. લોકોમાં ખુબ જ લોકપ્રિય બનેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી શરૂ થશે. આગામી 24 ફેબ્રુઆરીથી રો-રો ફેરી બોટ શરૂ થશે. ઇન્ડિગો સી-અવેઝ કંપની દ્વારા આ જાહેરાત કરાઇ છે.
4 માસથી બંધ રો-રોફેરી સેવા ફરી શરૂ થશે
24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે રો-રો ફેરી બોટ
ઈન્ડિગો સી અવેઝ કંપની દ્વારા કરાઈ જાહેરાત
ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી શરૂ થવા જઇ રહી છે. આ સર્વિસ લોકોની હાલાકી દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ ગતવર્ષે થયેલ અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબ જ મોટી માત્રામાં સિસ્ટેશન થઇ ગયેલ છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ પડી છે. આ ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના શીપીંગ મંત્રાલય પાસે ટેકનીકલ સહાયતા માટે માંગ કરવામાં આવી હતી.
થોડા દિવસો અગાઉ કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રીશ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી. આ ફેરી ફરી ચાલુ કરવા ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક એમ્પાવર્ડ ગ્રુપની રચના કરવાનો નિર્ણય કરેલ છે.
આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ તથા વિવિધ ટેકનીકલ એક્ષ્પર્ટ્સ રહેશે. આ એમ્પાવર્ડ ગ્રુપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ ચર્ચા-વિચારણા કરીને રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે ભલામણ કરશે.