અમદાવાદઃ શહેરમાં આજે "માર્ચ ફોર જસ્ટિસ" યોજાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા જજોની નિમણૂક ના થતાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની મેનેજિંગ કમિટીએ આ નિર્ણય કર્યો હતો. જેમાં ગાંધી આશ્રમથી હાઈકોર્ટ સુધીની રેલીનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે હાલ હાઈકોર્ટમાં જજોની સંખ્યા પૂરતી નથી.
હાઇકોર્ટમાં છેલ્લાં ઘણાં સમયથી જજોની અછત મામલે કાયદાનાં જાણકાર એવા વકીલો દ્વારા પ્રતિકાત્મક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધી આશ્રમથી હાઇકોર્ટ સુધી રેલી યોજાઇ હતી અને છેલ્લાં કેટલાંક સમયથી હાઇકોર્ટમાં જજોની નિમણુંક થતી નથી. જેથી હાઇકોર્ટનાં વકીલ દ્વારા એક દિવસ કામથી અળગા રહીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો.
નોંધપાત્ર છે કે જજોની છેલ્લાં કેટલાંય સમયથી અછત છે જેથી ન્યાય પ્રક્રિયામાં પણ વિલંબ થાય છે. સામાન્ય વ્યક્તિ ન્યાયપાલિકા પાસે ન્યાયની આશાથી આવતી હોય છે ત્યારે જજોની અછતનાં કારણે નિરાશ થઇને તેઓ આશ રાખીને પોતાનાં કેસની મુદ્દત લઈને નિરાશ થઈ પરત ફરે છે. જો કે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને વકીલો લડત કરશે તેવી તેમનાં દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે.