ગાઝિયાબાદ જિલ્લાના મોદીનગર વિસ્તારમાં આવેલી મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દર્દનાક દૂર્ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને એસએસપી સહિત અનેક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ગાઝિયાબાદની મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ
દર્દનાક દૂર્ઘટનામાં 7 લોકોનાં મોત
આપને જણાવી દઇએ કે, હજુ સુધી આગ લાગવા અંગેના કોઇ ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી. જ્યાં ફેકટરીમાં આગ લાગી છે ત્યાં મીણબત્તી બનાવવાનું કામ કરવામાં આવે છે. આગ દરમિયાન કારખાનામાં તે સમયે કેટલા લોકો હતા, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
યોગી આદિત્યનાથે આપ્યા તપાસના આદેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાહત પહોંચાડવા ડીએમ અને એસએસપીને નિર્દેશ આપ્યા છે. તેમજ આજ સાંજ સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરવા જણાવાયું છે.
એપ્રિલ મહિનામાં પણ આગ લાગવાની બની હતી ઘટના
આપને જણાવી દઇએ કે, આ પહેલા ગાઝિયાબાદમાં ટ્રોનિકા સિટી વિસ્તારમાં એપ્રિલ મહિનામાં એક જીન્સ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે, ફેક્ટરીમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો હતો.