ઉત્તર પ્રદેશમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોઇ માણસે નહીં પણ વાંદરા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોધાવવામાં આવી છે અને આકરી સજા માટે માંગ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો ઉત્તર પ્રદેશના બાગપતમાં સ્થિત ટિકરી ગામમાં એક અજીબ ઘટના ઘટી હતી. જ્યાં વાદરાઓએ એક વૃદ્ધ પર પથ્થરમારો કરીને તેમની હત્યા કરી હતી.
આ મામલે પોલીસ પણ અસમંજસમાં છે કારણ કે મૃતકના પરિવારજનો ઘટનાને હત્યાનું રૂપ આપી રહ્યા છે અને તેમણે પોલીસમાં વાંદરાઓ વિરૂદ્ધ ફરિયાદ કરી સજા માટેની માંગણી કરી હતી. પોલીસ મુજબ 72 વર્ષીય વૃદ્ધ ધરમપાલ સિંહ હવન માટે સૂકા લાકડા એકઠા કરી રહ્યા હતા ત્યારે વાંદરાઓએ તેમની પર ઇંટો ફેંકી હતી.
વાંદરાઓને આ ઇંટો બાજુના વિસ્તારમાં પડી ગયેલા મકાનમાંથી મળી હોવાનું માનવામાં આવે છે. માથા અને છાતીના ભાગે ઇજા થતા વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા જે દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના પરિવારે ઔપચારિક ફરિયાદ નોંધાવી વાંદરાઓને ગુનેગાર ઠેરાવ્યા હતા.
પોલીસે આ મામલાને એક ઘટનાની રીતે નોંધી હતી. જેનાથી મૃતકનો પરિવાર સંતુષ્ટ નથી આથી તેમણે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાંધ્યો હતો. મૃતકના પરિવાર મુજબ ધરમપાલ સિંહ પર વાંદરાઓએ ઘણી ઊંચાઇએથી 20થી વધારે ઇંટો ફેંકી હતી જેના કારણે ધરમપાલને ગંભીર ઇજાઓ થઇ હતી.
તેમના મુજબ વાંદરાઓ જ આ ઘટના માટે જવાબદાર છે જેથી તેમને સજા થવી જોઇએ. આ મામલે ગ્રામીણ લોકોએ પણ સવાલો ઊઠાવતા મૃતકના પરિવારજનોને સમર્થન આપ્યું હતું. કારણ કે તેમના મુજબ વાંદરાઓએ સમગ્ર વિસ્તારને ત્રસ્ત કરી મૂક્યો છે.
ગ્રામજનોની જીંદગી પણ ભયભીત છે અને હાલમાં કોઇ પણ પ્રકારનો ઉકેલ નજર નથી આવી રહ્યો. પોલીસે આ મામલે વન વિભાગનો સંપર્ક કરીને વાંદરાઓને પકડવા માંટેની મદદ માંગી હતી જેથી ભવિષ્યમાં વાંદરાઓ દ્વારા મનુષ્ય પર હુમલાની ઘટનાઓને ટાળી શકાય.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં વાંદરાઓ દ્વારા મનુષ્યો પર હુમલાની ઘટનાઓ વધવા લાગી છે. વન વિભાગ મુજબ રશેસ મૅકક્યુક્સ વાંદરાઓની પ્રજાતિ હિંસક હોય છે અને આ પ્રજાતિ મનુષ્યો પર હુમલા કરવામાં અવ્વલ છે.