ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ માર્ચ 2023માં યોજાયેલી ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આજે સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે
રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર મળી રહ્યા છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ડાંગ, વલસાડ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 અને 5 મે ના રોજ વધુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અત્યારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. અમદાવાદમાં વાવાઝોડું ફુંકાઈ શકે છે.
ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2023માં યોજાયેલી ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આજે એટલે કે 2 મે, 2023ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સવારે 9 વાગ્યે પોતાનું પરિણામ વેબસાઇટ પર જઈને તપાસી શકે છે. ધોરણ 12 સાયન્સની સાથે ગુજકેટનું પણ પરિણામ પણ આજે જ જાહેર કરવામાં આવશે.
આગામી 12 અને 13 મેના રોજ યોજાનારા પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનના ઉદ્ધાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આગામી 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીગનર ગિફ્ટ સિટી ખાતે 12 અને 13 મેના રોજ પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. PM મોદીના હસ્તે શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને ખુલ્લું મુકવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષક સંઘ સાથે જોડયેલા સમગ્ર દેશના શિક્ષકો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, દેશના વિવિધ રાજ્યમાં દર 2 વર્ષે અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગાંધીનગર ખાતે આ અધિવેશનનું આયોજન કરાયું છે.
સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટથી મુંબઈ જવા દરરોજની 4 ફ્લાઇટ મળશે. સવારની 2 નવી ફ્લાઇટ શરૂ કરાતા ફ્રેક્વન્સીમાં વધારો થયો છે. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ પરથી વેકેશનમાં ગોવાની ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે. ગોવાની ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉપડશે. તાજેતરમાં જ એર ઈન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. તો આ પહેલા ઈન્ડિગોએ રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઇટ શરૂ કરી હતી. હવાઈ મુસાફરીની સંખ્યામાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર ડમીકાંડ મામલે રિમાન્ડ પૂરા થતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો. જો કે, પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે યુવરાજસિંહ જાડેજાને જેલા ભેગો કર્યો છે. તમને જણાવીએ કે, ગઈકાલે તેમને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો હતો. ડમીકાંડમાં તોડ કરવા મામલે યુવરાજસિંહને કોર્ટમાં હાજર થયા પહેલાં યુવરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. યુવરાજસિંહએ જણાવ્યું કે, આ માત્ર શરૂઆત છે અંત હજુ બાકી છે તેમજ સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે તેમણે ઉમેર્યું કે, હજુ બીજું ઘણું બધું સામે આવશે.
ગરીબોના હકનો કોળિયો ઝૂંટનારા કૌભાંડીઓ પર સરકારે તવાઇ બોલાવી છે. સરકારી અનાજના વિતરણમાં કૌભાંડ રોકવા SIT હરકતમાં આવી છે અને 1 લાખ નકલી રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020થી અત્યાર સુધી થયેલા કેસોને રિઓપન કરાયા છે. SIT હરકતમાં આવી છે અને કાર્યવાહીનો ધમધમાટ ચલાવી રહી છે. સરકારી અનાજ સગેવગે કરવાના થયેલા 83 કેસ રિ-ઓપન કરાયા છે. તમામ જિલ્લાના SP અને કલેકટરને SITએ ગુનાની તપાસ કરવા માટે SoP મોકલી છે તેમજ સરકારી અનાજમાં થતી ચોરી રોકવા SIT રેડ પણ કરશે. જે વિસ્તારમાં SIT રેડ કરશે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી કરાશે. અત્રે તમને જણાવીએ કે, સરકારી અનાજની ચોરી કરનાર સામે PBM હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની જામનગર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી જ્યાં ઉજવણીને લઇને પરેડ યોજાઇ હતી અને તે પરેડમાં પોલીસની વિવિધ 19 પલટનના 800 જવાનોએ ભાગ લીધો હતો. જે પરેડમાં ચેતક કમાન્ડો, બુલેટપ્રુફ લેક ગાડી આકર્ષણનુ કેન્દ્ર બન્યું હતું. અશ્વદળ સહીત પોલીસ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસ 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલે રૂ.352 કરોડના 553 વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે.
એપ્રિલ 2023માં જીએસટી કલેક્શનના આંકડાએ ઇતિહાસ રચ્યો છે. જીએસટી કલેક્શનના આંકડા મુજબ એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે અત્યાર સુધીનો ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ 2023માં દેશનું જીએસટી કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. એપ્રિલ 2022માં જીએસટી કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું. એટલે કે આ એપ્રિલમાં જીએસટી કલેક્શન ગત એપ્રિલ કરતા 19,495 કરોડ રૂપિયા વધારે રહ્યું છે. જીએસટી કલેક્શનમાં આટલો મોટો ઉછાળો કદી આવ્યો નથી. માર્ચ 2023માં 1.60 લાખ કરોડ હતું જે એપ્રિલમાં વધીને 1.87 લાખ કરોડ થયું આમ એક મહિનામાં સરકારને 27,000 કરોડનું વધારાનું જીએસટી મળ્યું.
સુપ્રિમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા અંગે પોતાનો ચુકાદો આપતી માર્ગદર્શિકા બહાર પાડી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જો સંબંધોને જોડવાનું શક્ય ન હોય તો કોર્ટ સંપૂર્ણ ન્યાય માટે કલમ 142 હેઠળ આપવામાં આવેલા અધિકારો દ્વારા હસ્તક્ષેપ કરી શકે છે. એટલું જ નહીં સુપ્રિમ કોર્ટે કહ્યું કે, પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે લાગુ પડતા 6 મહિના સુધી રાહ જોવાની કાનૂની જવાબદારી પણ જરૂરી નથી.સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકામાં ગુજરાન સહિતની અન્ય જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટની 5 જજની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનો ચાલી રહેલો વિરોધ દિવસેને દિવસે વધુ ગરમાઇ રહ્યો છે. બ્રિજ ભૂષણ પર એક સગીર સહિત 7 મહિલા રેસલર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર બૃજભૂષણે કહ્યું,' પહેલા તેઓ કહેતા હતા કે મેં 100 બાળકોનું યૌન શોષણ કર્યું છે. પછી તેઓ કહેવા લાગ્યા કે, આવું 1000 બાળકો સાથે થયું. શું મેં શિલાજીતની બનેલી રોટલી ખાધી?. બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, જો આ લોકો જંતર-મંતર જશે તો હું રાજીનામું આપી દઈશ. બૃજભૂષણે એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન પોતાનો ખુલાસો કરતા આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો રાજકીય રીતે પ્રેરિત છે. મહત્વનું છે કે, જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજો બૃજભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે.
કર્ણાટકમાં સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. વિગતો મુજબ ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરવામાં આવી છે. 'પ્રજા ધ્વની'ના નામે બહાર પાડવામાં આવેલા તેના સંકલ્પ પત્રમાં ભાજપે દરેક BPL પરિવારને દરરોજ અડધો કિલો નંદિની દૂધ અને વર્ષમાં 3 વખત મફત સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે.કર્ણાટકમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, CM બસવરાજ બોમાઈ સહિતનાં નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપે તેના ઢંઢેરામાં 10 લાખ બેઘર લોકોને ઘર આપવાનું વચન પણ આપ્યું છે. આ સાથે સરકારી શાળાઓને વિશ્વ કક્ષાના માપદંડો અનુસાર અપગ્રેડ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સાથે દર વર્ષે વરિષ્ઠો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કટરા કેશવદેવના નામે નોંધાયેલી ઈદગાહની જમીન વિવાદ અંગે મથુરા જિલ્લા અદાલતમાં પડતર સિવિલ કેસનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ પ્રકાશ પડિયાએ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અન્યની અરજી પર આ આદેશ આપ્યો છે. કોર્ટે વચગાળાના આદેશ અને રિવિઝન ઓર્ડર સામે દાખલ કરેલી અરજીનો નિકાલ કર્યો છે. અરજી પર કોર્ટે કહ્યું કે આ મામલે નિર્ણય આવી ચૂક્યો છે. તેથી આ બાબતમાં કોઈ દખલગીરી કરી શકાય નહીં. આ સાથે કોર્ટે અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે ગત સોમવારે ચુકાદો અનામત રાખ્યો હતો. આજના નિર્ણયને મુસ્લિમ પક્ષ માટે ફટકો માનવામાં આવી રહ્યો છે.