મોદી સરકારની ખાસ સ્કીમ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય)માં રોકાણ કર્યા બાદ હવે આપને બે નહીં, પરંતુ ત્રણ ઇન્સ્યોરન્સ કવર મળશે. આ બંને ઇન્સ્યોરન્સ કવર એક્સિડેન્ટલ ડેથ કવર, ડિસએબિલિટી કવર ઉપરાંત લાઇફ કવર પણ મળશે.
વડા પ્રધાન સુરક્ષા વીમા યોજના હેઠળ તમને એક્સિડેન્ટલ અને ડિસએબિલિટી કવર મળશે, જે માટે રૂ.૧૨ ખર્ચવા પડશે, જ્યારે વડા પ્રધાન જીવન જ્યોતિ વીમા યોજનામાં લોકોને કુલ રૂ. ૩૩૦ ખર્ચવા પડશે, જેના હેઠળ લાઇફ ઇન્સ્યોરન્સ કવર મળશે. આમ, વર્ષમાં એક વાર રૂ. ૩૪૨નું પ્રીમિયમ ચૂકવીને લોકો કુલ ત્રણ ઇન્સ્યોરન્સ કવર પ્રાપ્ત કરી શકશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ૧૮ વર્ષથી લઇને ૭૦ વર્ષના લોકોને એક્સિડેન્ટલ ડેથ અને ડિસએબિલિટી ઇન્સ્યોરન્સ કવર મળશે. એક્સિડેન્ટલ ડેથ માટે ઇન્સ્યોરન્સની રકમ રૂ. બે લાખ અને ડિસએબિલિટી માટે રૂ. એક લાખનો ક્લેમ મળશે, જ્યારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ ૧૮થી લઇને ૫૦ વર્ષની ઉંમરની કોઇ પણ વ્યક્તિ મેળવી શકશે, જેમાં રૂ. બે લાખનું લાઇફ કવર મળશે.
પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ જૂન, જુલાઇ અને ઓગસ્ટ માટે વાર્ષિક પ્રીમિયમ રૂ. ૩૩૦ ચૂકવવું પડશે, જ્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર માટે વાર્ષિક પ્રીમિયમ રૂ. ૨૫૮ થશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે રૂ. ૧૭૨ અને માર્ચ, એપ્રિલ તથા મે માટે વાર્ષિક
રૂ. ૮૬ પ્રીમિયમ આપવું પડશે.