ગુજરાત રાજ્યના ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના ચેરપર્સનના પદ પરથી આનંદ કુમાર એક મહિના બાદ નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે નવા ચેરપર્સન તરીકે બે મુખ્ય નામ મોખરે છે.
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ચેરપર્સન આવતા મહિને થશે નિવૃત્ત
નવા ચેરપર્સનની પસંદગી માટે નિવૃત્ત અધિકારીઓ પર પસંદગી ઉતારી શકે છે સરકાર
પૂર્વ અધિકારીઓ સુજિત ગુલાટી અને રાજ ગોપાલના નામ સૌથી વધારે આગળ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ચેરપર્સન પદ પર વર્ષ 2016થી આનંદ કુમાર હતા અને એક મહિનામાં તેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે.
કોણ છે આનંદ કુમાર?
વર્ષ 2016માં આનંદ કુમાર ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના ચેરપર્સન બન્યા હતા. વર્ષ 2016માં પાંચમી એપ્રિલના રોજ તેઓએ પદગ્રહણ કર્યું હતું અને ગુજરાતમાં સેવા આપ્યા પહેલા તેમણે મેઘાલય અને ઉત્તરાખંડમાં પણ સેવા આપી હતી. ઉત્તરાખંડમાં તેઓ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટર અને મેઘાલયમાં Chairperson-ERC પદે રહ્યા હતા. આનંદ કુમારે IIT રૂરકીથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે અને તેમની પાસે 36 વર્ષનો પાવર સેક્ટરનો અનુભવ છે.
નિવૃત્ત અધિકારીઓ પર પસંદગી ઉતારી શકે છે સરકાર
આનંદ કુમારના સ્થાન પર માનવામાં આવી રહ્યું છે કે સરકાર હવે નિવૃત્ત અધિકારીઓ પર પસંદગી ઉતારી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આનંદકુમારની નિવૃત્તિ બાદ હવે બે મોટા દાવેદારો સામે આવ્યા છે જેમાં સુજિત ગુલાટી જે એનર્જી વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે અને પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી રાજ ગોપાલનું છે.
આ બે નામ પર ચર્ચા
સુજિત ગુલાટી ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રિસિટી કોર્પ લિમિટેડના ચેરમેન પદ પર પણ રહી ચૂક્યા છે અને તેઓ Gujarat State Fert & Chemicalsના મેનેજિંગ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તથા ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પ લિમિટેડ જેવા વિવિધ નિગમોમાં બોર્ડ મેમ્બર પણ રહી ચૂક્યા છે ત્યારે હવે ચેરપર્સન પદ માટે ફરીથી તેમને જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુજિત ગુલાટી સિવાય બીજું જે નામ સૌથી વધારે ચર્ચામાં છે તે પૂર્વ IAS અધિકારી રાજ ગોપાલનું છે. તેઓ ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી પદ પર રહ્યા હતા અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં પણ મેનેજિંગ ડિરેક્ટર પદનો અનુભવ ધરાવે છે.