રાજકોટઃ ચક્રવાતી તોફાન ગાજાએ જાણે તમિલનાડુને હચમચાવી નાખ્યું છે. તોફાને એટલું તાંડવ મચાવ્યું છે કે લાખો લોકો ઘર વિહોણા થઈ ગયા. જાણે તમિલનાડું સ્તબ્ધ થઈ ગયું. ત્યારે હવે ગાજાની ગર્જનાની શક્યતા અમરેલી-જાફરાબાદ બંદર પર હોવાને લઇને 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
દરિયામાં પવન ફૂંકાવવાની આગાહીને પગલે સિગ્નલ લગાવાયું છે. ગાજા વાવાઝોડુ આવવાની શક્યતાના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. સિગ્નલ લગાવી માછીમારોને એલર્ટ કરાયા છે. જેના પગલે દરિયાખેડૂઓને દરિયો ના ખડેવા સૂચના આપી દેવાઈ છે.
ચક્રવાતી વાવાઝોડું ગાજા ગુરૂવારે મોડી રાત્રે તામિલનાડુના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ કાંઠા સાથે અથડાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાની પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી. ગાજાની અસરથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.
મુખ્યમંત્રી પલાનીસામીએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં 23 લોકોનાં મોત નિપજ્યાં છે. સંકટ નિવારણ વિભાગે 81 હજાર લોકોને કાંઠાના વિસ્તારોથી હટાવીને 471 જેટલાં રાહત શિબિરમાં મોકલ્યાં છે.