તામિલનાડુમાં ગાજા તોફાને તબાહી મચાવ્યા બાદ હવે તે કેરળ તરફ આગળ વધ્યુ છે. રાજ્યના કેટલાય વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે.
તબાહી બાદ પૂરજોશમાં બચાવ કામગીરી હાથ ધરાઈ છે. તો કેન્દ્ર સરકારે પણ આપદા પીડિત રાજ્યને સંભવ દરેક પ્રકારની મદદ કરવાની વાત પણ કરી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 12 કલાકમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. કેરળના ઈડુક્કી જિલ્લામાં મોટી માત્રામાં નુકસાન થયું છે. તો એર્નાકુલમાં લગભગ 200 મકાનોને નુકસાન થયું છે.
એટલું જ નહીં આ તબાહીમાં ત્રીસ હજારથી પણ વધુ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. તોફાનના પગલે માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે તંત્ર દ્વારા આદેશ આપી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે ચક્રવાતી વાવાઝોડું ગાજા ગુરૂવારે મોડી રાત્રે તામિલનાડુના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ કાંઠા સાથે અથડાયું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દરમિયાન તોફાની હવાની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક કરહી. ગાજાની અસરથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુખ્યમંત્રી પલાનીસામીએ જણાવ્યું કે દુર્ઘટનામાં 23 લોકોનાં મોત નિપજ્યાં છે.