પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીના નિવેદનથી તેને આડેહાથ લેતા કહ્યું, સૌરભ ગાંગુલીના સમયથી ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના કઠિન પડકારોનો સામનો કરવાનું શરૂ કરી દીધું હતું. ગાવસ્કરે કહ્યું, ભારતીય ટીમ એ સમયે પણ જીતતી હતી જ્યારે હાલના કેપ્ટન (કોહલી)નો જન્મ પણ નહોતો થયો.
કોલકાતા ટેસ્ટમાં વિરાટની કેપ્ટન્સીવાળી ટીમે બાંગ્લાદેશ સામે મેળવી જીત
કેપ્ટન કોહલીએ બીસીસીઆઈ પ્રમુખ સૌરભ ગાંગુલીની કરી પ્રસંશા
કોહલીના નિવેદનની નારાજ થયા ગાવસ્કર
કોહલીના નિવેદનથી નારાજ, પૂર્વ કેપ્ટન ગાવસ્કરે કહ્યું, 'ભારતીય કેપ્ટન કોહલીએ કહ્યું કે ભારતીય ટીમની જીત વર્ષ 2000થી દાદા (સૌરભ ગાંગુલી)ની ટીમથી શરૂ થઈ. મને ખબર છે કે દાદા બીસીસીઆઈના અધ્યક્ષ છે. આ જ કારણથી કોહલી તેમની પ્રસંશા કરી રહ્યો છે, પરંતુ ભારત 70 અને 80ના દાયકામાં પણ જીતી રહ્યું હતું અને તે સમયે કોહલી પેદા પણ નહોતો થયો.
ગાવસ્કરે ટીવી શોમાં મેચ પૂરી થયા બાદ કહ્યું કે, ઘણાં લોકો હજી પણ માને છે કે ક્રિકેટની શરૂઆત 2000ના દાયકામાં થઈ હતી, પરંતુ ભારતીય ટીમે 70ના દાયકામાં પણ વિદેશમાં જીત મેળવી હતી. ભારતીય ટીમ 1986માં પણ જીતી હતી. વિદેશમાં પણ ભારતે સીરિઝ ડ્રો કરાવ્યો હતો અને તેઓ પણ બાકીની ટીમની જેમ હારી ગયા હતા.
વિરાટે આ નિવેદન આપ્યું હતું
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ધમાકેદાર જીત પછી કોહલીએ કહ્યું હતું કે, ભારતે પડકારોનો સામનો કરવાનું શીખી લીધું છે અને આ બધું 'દાદા (સૌરભ ગાંગુલી)ની ટીમથી શરૂ થયું.' કોહલીએ કહ્યું, 'હવે અમે પડકારોનો સામનો કરવાનું શીખી ગયા છે, આ બધું દાદાના સમયથી શરૂ થયું હતું. જેને અમે હવે આગળ વધારી રહ્યા છે. અમારી બોલિંગ ટીમ નિર્ભય છે અને તેમને પોતાની ઉપર પૂરો ભરોસો છે. તે કોઈપણ બેટ્સમેન સામે રમવા તૈયાર છે. અમે છેલ્લા 3-4 વર્ષથી જે મહેનત કરી છે હવે તેનું ફળ મળી રહ્યું છે.'
ભારતે પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચ રમી અને જીત મેળવી
કોલકાતાના ઈડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર ભારતે પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી અને ત્રીજા જ દિવસે જીત મેળવી લીધી હતી. બાંગ્લાદેશ સામેની આ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં કોહલીએ 136 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તે બેટિંગ દરમિયાન કોઈ પણ રીતે મુશ્કેલીમાં જોવા મળ્યો ન હતો. ભારતીય ઝડપી બોલર્સે પણ સારું પ્રદર્શન કર્યું હતું અને તેમના નામે 19 વિકેટ હતી.