ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિન્ડીઝના પ્રવાસે જવાનો નથી. માહી પોતાની પેરા રેજિમેન્ટ સાથે બે જમ્મુ કાશ્મીરમાં ટ્રેનિંગ લેવાનો છે. ધોનીના ક્રિકેટથી દૂર રહેવાના નિર્ણય બાદ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે એક મોટું નિવેદન આપીને મહેન્દ્રસિંહ ધોની તરફ નિશાન તાક્યું છે.
વિશ્વકપમાં ધોની પોતાનાં ફોર્મ સામે ઝઝૂમતો નજરે પડ્યો હતો. તેના બેટમાંથી બહુ રન નહોતા નીકળ્યા. ૩૮ વર્ષીય ધોનીએ વિશ્વકપ ૨૦૧૯માં રમેલી નવ મેચની આઠ ઇનિંગ્સમાં ૪૫.૫૦ની સરેરાશથી ૨૭૩ રન બનાવ્યા, જેમાં બે અર્ધસદી સામેલ હતી. વર્લ્ડકપ દરમિયાન ધોનીની ધીમી બેટિંગ બદલ ઘણી ટીકાઓ થઈ. વર્લ્ડકપમાં ધોનીનાં કંગાળ પ્રદર્શન બાદ તાજેતરમાં એક ટીવી શોના ઇન્ટરવ્યૂ દરમિયાન ગૌતમ ગંભીરે ધોનીને લઈને એક વિવાદાસ્પદ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ૨૦૧૨માં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણી દરમિયાન ધોનીએ સ્પષ્ટ રીતે સચીન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર એ ત્રણેયને એક સાથે મેદાનમાં ઉતારવાની ના પાડી દીધી હતી.
ગંભીરે ખુલાસો કરતાં કહ્યું, ''ટ્રાઇ સિરીઝમાં ધોનીએ કહ્યું હતું કે તે અમને ત્રણેય (સચીન, સેહવાગ, ગંભીર)ને એકસાથે રમાડી ના શકે, કારણ કે તે ૨૦૧૫ના વર્લ્ડકપની તૈયારી કરી રહ્યો છે. એ મોટો ઝટકો હતો. મને લાગે છે કે આ વાત કોઈ પણ ક્રિકેટર માટે મોટા ઝટકા સમાન હોય છે.''
વધુમાં ગૌતમે જણાવ્યું, ''મેં ક્યારેય એવું નહોતું સાંભળ્યું કે કોઈને ૨૦૧૨માં એવું કહી દેવામાં આવ્યું હોય કે તે ૨૦૧૫ના વર્લ્ડકપની ટીમનો હિસ્સો નહીં હોય. મારા મનમાં હંમેશાં એ વાત હતી કે જો તમે સતત રન બનાવતા રહો તો ઉંમર તો માત્ર એક આંકડો છે. ધોની ૨૦૧૫ના વર્લ્ડકપ માટે યુવા ખેલાડીઓને તૈયાર કરવા ઇચ્છતો હતો.'' એક સવાલના જવાબમાં ગંભીરે કહ્યું, ''ઓસ્ટ્રેલિયામાં જ્યારે અમને એક જીતની બહુ જ જરૂર હતી, ત્યારે મને યાદ છે કે હોબાર્ટમાં વીરુ અને સચીને ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને હું નંબર ત્રણ પર અને વિરાટ નંબર ચાર પર. ભારત એ મેચ જીતી ગયું હતું અને અમે ૩૭ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.
શ્રેણીમાં શરૂઆતમાં અમે ત્રણેય એકસાથે ટીમમાં રમ્યા નહોતા. અમને રોટેટ કરવામાં આવી રહ્યા હતા. જ્યારે જીતની બહુ જ જરૂર હતી ત્યારે ધોનીએ અમને ત્રણેયને એકસાથે ટીમમાંથી રમાડ્યા હતા. જો તમે કોઈ નિર્ણય કર્યો હોય તો તેને વળગી રહો. તમે અગાઉ જે વિચાર્યું હોય તેમાંથી પીછેહઠ ના કરો.''