ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં તેમની નેટવર્થમાંથી 52 બિલિયન ડોલરનું નુકસાન છે. અગાઉ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં અદાણી બીજા નંબર પર હતા પરંતુ એક જ સપ્તાહમાં તે ટોચના 20ની યાદીમાંથી બહાર થઇ ગયા છે. રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ બગડતી સ્થિતિ બાદ હવે અમેરિકાએ પણ અદાણીને ઝટકો આપ્યો છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે 24 જાન્યુઆરીએ રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદ ગૌતમ અદાણીની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. અદાણીના શેરમાં રોજબરોજ ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે તેની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે 2023માં અત્યાર સુધીમાં તેમને 59.2 બિલિયન ડોલરનું નુકસાન થયું છે અને તેમાંથી 52 બિલિયન ડોલર માત્ર છેલ્લા 10 દિવસમાં જ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણી અમીરોની યાદીમાં 5 સ્થાન નીચે પહોંચી ગયા છે.
ડાઉ જોન્સ ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને હટાવી દેવામાં આવશે
હવે અમેરિકાના ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને હટાવી દેવામાં આવી છે. અદાણી એન્ટરપ્રાઈઝને ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી બાકાત રાખવાનો નિર્ણય કંપનીના શેરમાં સતત તીવ્ર ઘટાડાને કારણે લેવામાં આવ્યો છે. હિંડનબર્ગના અહેવાલમાં અદાણી ગ્રૂપ અંગે સ્ટોક મેનીપ્યુલેશન-એકાઉન્ટિંગ ફ્રોડ સહિત વિવિધ દાવા કરવામાં આવ્યા છે. આ તમામ આરોપો પર મીડિયા સ્ટેકહોલ્ડરના વિશ્લેષણ બાદ પગલાં લેતા ઈન્ડેક્સે અદાણીની કંપનીને હટાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર તેને 7 ફેબ્રુઆરીએ ડાઉ જોન્સમાંથી હટાવી દેવામાં આવશે.
આ સમાચારની સીધી અસર કંપનીના શેર પર
ડાઉ જોન્સ ઈન્ડેક્સ દ્વારા અદાણી એન્ટરપ્રાઈઝને બહાર કાઢવાના નિર્ણયના સમાચારની સીધી અસર કંપનીના શેર પર જોવા મળી છે. શેરબજારમાં દિવસનો કારોબાર શરૂ થતાં જ તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો અને તે 35 ટકા સુધી તૂટ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર 35.00% અથવા 547.80 ની નીચે રૂ. 1,017.45 પર ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત અદાણી પાવર પણ શુક્રવારે નીચલી સર્કિટમાં છે અને તે 5 ટકાના ઘટાડા બાદ રૂ. 191.95 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ટોટલ ગેસનો શેર પણ 1622.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
આ સિવાય અદાણી વિલ્મર લિમિટેડમાં પણ સવારે 11 વાગ્યા સુધી નીચલી સર્કિટ છે, સમાચાર લખાય છે ત્યાં સુધી તે 5% ઘટીને રૂ. 399.95 પર આવી ગયો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ નીચા સર્ટિક સાથે 10% ઘટીને રૂ. 935.90 થયો હતો. અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ 10 ટકા ઘટીને 1,396.05 પર પહોંચ્યો હતો.
NSEએ પણ આપ્યો ઝટકો
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ગુરુવારે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM)માં મૂકવાનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપની આ 3 કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે. ASM ફ્રેમવર્કને લઈને NSE એ તેની સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપતા જણાવ્યું હતું કે કિંમત, વોલ્યુમની વેરીશન, સ્ટોકની વધઘટને મોનિટર કરવા માટે એડિશનલ સર્વેલન્સ માર્જિન (ASM) દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જે એમ પણ કહ્યું હતું કે ASM હેઠળ સિક્યોરિટીઝનું શોર્ટલિસ્ટિંગ મોનિટરિંગ માટે છે અને તેને સંબંધિત એન્ટિટી સામેની કાર્યવાહી તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં.